ખેતીલક્ષી વિજળી જોડાણ પ્રક્રિયા હવે બનશે વધુ સરળ,
કૃષિ વીજ જોડાણ મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર
આ નિર્ણયથી ગુજરાતના સેંકડો ખેડૂતોને ફાયદો થશે
ખેડૂતો માટે મહત્વનો નિર્ણય સરકારે લીધો છે. જમીનના ૭/૧૨ના ઉતારામાં એક કરતા વધુ સહમાલિકના નામ હોય તો દરેક સહ માલિકને તે સર્વે નમ્બર જમીનના ક્ષેત્રફળને ધ્યાન લીધા વગર વીજ જોડાણ આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગુજરાતના સેંકડો ખેડૂતોને ફાયદો થશે.
પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે ૭-૧૨ના ઉતારામાં એક કરતા વધારે સહમાલિકના નામ હોય તો નોટરાઈઝ્ડ સ્ટેમ્પ પેપર પર સહમાલિકનું સંમતિ પત્રક મેળવવાની રહેતી હતી. જેના કારણે ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં વધુ વારસદારો હોવાથી આંતરિક વહેચણી કરેલ હોય પરંતુ મહેસૂલી નોંધ ન હોવાને કારણે ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે મુશ્કેલીઓ પડતી હતી. વિવિધ રજૂઆતા બાદ રાજ્ય સરકાર દ્વારા આ જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તે મુજબ હવેથી સહમાલિકના સંમતિ પત્રકને બદલે હવેથી અરજદાર દ્વારા નોટરાઈઝડ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે. વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ ૭/૧૨ ઉતારામાં નોંધાયેલું હોવું જોઈએ, પાણીનો સ્ત્રોત/કુવો/બોર અલગ હોવો જોઈએ. અરજી સાથે અરજદાર દ્વારા સંપૂર્ણ જમીનનો સહભાગીદારોની અલગ સીમાઓ તથા હદબંધી દર્શાવતો સ્પષ્ટ નકશો રજૂ કરવાનો રહેશે. સહમાલિકો પોતાના નામે એક સર્વે નંબરમાં માત્ર એક જ વીજ જોડાણ મેળવવા પાત્ર રહેશે.