જામનગરમાં નયનાબાની ઉમેદવારી પર રીવાબા જાડેજાનું નિવેદન
નયનાબા જાડેજાને ચૂંટણી લડવા બદલ પાઠવી શુભેચ્છા
“ચૂંટણીમાં જીત તો ભાજપના ઉમેદવારની જ થશે”
ચૂંટણીના માહોલમાં જ્યારે સગાં-સંબંધીઓ અલગ-અલગ રાજકીય વિચારધારા ધરાવતા હોય ત્યારે જંગ વધુ રસપ્રદ બને છે. રાજકોટમાં અત્યારે આવો જ નજારો જોવા મળી રહ્યો છે. ભાજપના નેતા અને મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસના ઉમેદવાર એવા તેમના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા તો પાઠવી, પરંતુ સાથે જ ભાજપની જીતનો હુંકાર ભરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.
રાજકોટની મુલાકાતે આવેલા રીવાબા જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “ચૂંટણી લડનાર દરેક ઉમેદવારને મારી શુભેચ્છાઓ છે, પરંતુ મને ભાજપના કાર્યકર્તાઓ અને મતદારો પર પૂર્ણ વિશ્વાસ છે.” તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ૨૬ તારીખે થનારા મતદાનમાં ભાજપની આખી પેનલ જંગી બહુમતીથી વિજયી થશે અને જનતા કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે. વધુમાં, રીવાબાએ ૧૭ એપ્રિલના રોજ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધને આડેહાથ લેતા જણાવ્યું કે, તે દિવસ નારી શક્તિના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાઈ શક્યો હોત, પરંતુ કોંગ્રેસના વિરોધને કારણે તે ‘કાળો દિવસ’ બની ગયો છે. આ માત્ર વિરોધ નથી પણ દેશની ૭૦ કરોડ મહિલાઓનું અપમાન છે.
સામે પક્ષે રાજકોટ શહેરના વોર્ડ નંબર ૨ના કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજાએ પણ ભાભીની શુભેચ્છાઓનો આભાર માનવાની સાથે રાજકીય પ્રહારો કરવામાં કોઈ કચાસ રાખી નથી. નયનાબાએ કહ્યું હતું કે, “જીત કોની થશે એ તો ૨૮ તારીખે પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે. જનતા બધું જાણે છે. તેમણે ભાજપના શાસન પર પ્રહાર કરતા આક્ષેપ કર્યો કે ભાજપના પૂર્વ નગરસેવકોએ કોઈ કામ કર્યા નથી, માત્ર ભ્રષ્ટાચાર જ કર્યો છે. વિસ્તારના મતદારો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને ભાજપની હાર નિશ્ચિત છે. જાડેજા પરિવારના આ બે અગ્રણી મહિલા નેતાઓ વચ્ચેના નિવેદનોએ ચૂંટણીમાં નવો વળાંક આપ્યો છે. એક તરફ રીવાબા ભાજપના સ્ટાર પ્રચારક તરીકે મેદાનમાં છે, તો બીજી તરફ નયનાબા કોંગ્રેસના ગઢને મજબૂત કરવા મથામણ કરી રહ્યા છે. ‘ભાભી v/s નણંદ’ની આ લડાઈ હવે માત્ર બે પક્ષોની લડાઈ મટીને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. ૨૬ તારીખનું મતદાન અને ૨૮ તારીખનું પરિણામ જ નક્કી કરશે કે રાજકોટની જનતા કોના પર પસંદગીનો કળશ ઢોળે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
