સુરતમાં મંત્રી સી.આર.પાટીલની અલગ અલગ વોર્ડમાં જઈ ચાય પે ચર્ચા
મહિલા અધિકારો મુદ્દે વિપક્ષ પર પ્રહારો કર્યા હતાં.
આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ પક્ષ પલટો રહ્યો
સુરતમાં ચુંટણી પ્રચાર તેજ થયુ હોય તેમ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે અલગ અલગ વોર્ડમાં જઈ ચાય પે ચર્ચા સાથે પ્રચાર કર્યો હતો. તો સાથે વોર્ડ નંબર 18 માં કોંગ્રેસમાંથી ઉમેદવારી પાછી ખેંચનાર સંજય રામાનંદી 2000 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હોવાનુ કહ્યુ હતું. સાથે મહિલા અધિકારો મુદ્દે વિપક્ષ પર પ્રહારો કર્યા હતાં.
સુરત મહાનગરપાલિકાની આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ડાયમંડ સિટી સુરતમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. આજે શહેરના લિંબાયત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે હાજરી આપીને ચૂંટણી પ્રચાર કર્યો હતો અને વિરોધ પક્ષોના સુપડા સાફ કરી દેવાનો હુંકાર કર્યો હતો. ચૂંટણી પ્રચારના ભાગરૂપે સી. આર. પાટીલે સૌ પ્રથમ લિંબાયત વિસ્તારના વોર્ડ નંબર-25માં સ્થાનિક કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એક સામાન્ય નાગરિકની જેમ ચાની ચુસ્કી લેતા પાટીલે બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ પક્ષ પલટો રહ્યો હતો. સંજયનગર સર્કલ ખાતે સી. આર. પાટીલની હાજરીમાં લિંબાયત વિસ્તારના કોંગ્રેસના 2000થી વધુ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો .જેમાં થોડા સમય પહેલા વોર્ડ નંબર 18 માં કોંગ્રેસમાંથી ટિકિટ મેળવનાર સંજય રામાનંદીએ પોતાનું ફોર્મ પર જ ખેંચ્યું હતું અને પછી આજે તેઓ ભાજપમાં જોડાયા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે મહિલાઓને અધિકાર પ્રાપ્ત થાય એ માટે દિલથી, પ્રામાણિકતા સાથે જે પ્રયત્ન કર્યા હતા એવું લાગતું હતું કે એનું ફળ પ્રાપ્ત થશે અને મહિલાઓને અધિકાર પ્રાપ્ત થશે.
