નવસારી જિલ્લામાં આવેલા વિનાશક પૂર
રાહત અને પુનઃસ્થાપનની કામગીરીને વેગ આપવા સરકાર સક્રિય
પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવા હર્ષ સંઘવી અને પાટીલ
નવસારી જિલ્લામાં આવેલા વિનાશક પૂર બાદ હવે રાહત અને પુનઃસ્થાપનની કામગીરીને વેગ આપવા રાજ્ય અને કેન્દ્ર સરકાર સક્રિય બની છે. પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તેમજ નવસારીના સાંસદ સી.આર. પાટીલ નવસારી પહોંચ્યા છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ રહી છે, જેમાં પૂરગ્રસ્તોને તાત્કાલિક રાહત, આર્થિક સહાય, રોગચાળો નિયંત્રણ અને ખેડૂતોને થયેલા નુકસાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.
નવસારી જિલ્લામાં આવેલા ઐતિહાસિક પૂર બાદ હવે સરકાર દ્વારા રાહત અને પુનઃસ્થાપનની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે ઉચ્ચસ્તરીય સમીક્ષા શરૂ કરવામાં આવી છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલ નવસારી પહોંચ્યા છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર અને વરિષ્ઠ અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં પૂરથી અસરગ્રસ્ત લોકો સુધી ઝડપથી રાહત પહોંચાડવા, આરોગ્ય સેવાઓ મજબૂત બનાવવા, રોગચાળો અટકાવવા, નુકસાનનું સર્વેક્ષણ પૂર્ણ કરવા અને આર્થિક સહાયની પ્રક્રિયાને ઝડપી બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ રહી છે.
પૂરના કારણે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ નુકસાન નવસારી જિલ્લામાં નોંધાયું છે. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી હજારો પરિવારો અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સહાય અને વળતરની પ્રક્રિયા અંગે પણ મંત્રણા ચાલી રહી છે. બેઠક પૂર્ણ થયા બાદ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી જિલ્લાનાં પૂરગ્રસ્ત ગામો અને વિસ્તારોની મુલાકાત લેશે. અસરગ્રસ્ત લોકો સાથે સીધી મુલાકાત કરીને તેમની સમસ્યાઓ સાંભળશે તેમજ ચાલી રહેલી રાહત કામગીરીની સમીક્ષા કરશે.
