સુરત પાલિકાની સંકલન સમિતિમાં અધિકારીઓને ઘેર્યા
એક્ટીવીસ્ટો બાદ હવે બિલ્ડરોના ગેરકાયદે બાંધકામની રજુઆત
અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાની માંગ કરી
સુરત મહાનગર પાલિકાની મળેલી સંકલન સમિતિમાં ધારાસભ્યોએ અધિકારીઓને ઘેર્યા હતા. તો આરટીઆઈ એક્ટીવીસ્ટો બાદ હવે ધારાસભ્ય અરવિંદ રાણાએ બિલ્ડરોના ગેરકાયદે બાંધકામ અંગે રજુઆત કરી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલાની માંગ કરી હતી.
સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટો પર સકંજો કસનારા ધારાસભ્ય અરવિંદ રાણાએ હવે ગેરકાયદેસર બાંધકામો બાબતે કર્મચારી-અધિકારીની સામે પગલાં ભરવાની માંગણી કરી હતી. ધારાસભ્ય અરવિંદ રાણાએ એસએમસીની સંકલનમાં રજુઆત કરી હતી અને જણાવ્યુ હતુ કે ડિમોલીશન કરાયેલ મિલકતોમાં ફરી ગેરકાયદેસર બાંધકામો તાણી દેવાયા છે. આકારણી ચોપડે નોંધણી પણ થઈ ગઈ હોવાના સંખ્યાબંધ આક્ષેપો કરાયા છે. ત્યારે મનપા કમિશનરે દરેક ઝોનલ ચીફને દાખલા રૂપ કામગીરી માટે સૂચના આપી છે. કાયદા અંગેની નિર્ધારીત કટ ઓફ ડેટ બાદ થયેલ ગેરકાયદેસર બાંધકામો બાબતે જે તે ઝોનના કર્મચારીઓની જવાબદારી નક્કી કરવાની માંગણી કરી હતી.
એટલું જ નહીં છેલ્લા ત્રણ વર્ષના દરેક ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ અંગે થયેલ ડિમોલીશનની કાર્યવાહી બાદ હાલ મિલકતની સ્થળ સ્થિતિની ચકાસણી કરાવવાની પણ માંગણી કરી હતી. સાથે શહેરના દબાણોનો અને ટ્રાફિક બાબતે પણ બીજા ધારાસભ્યો પણ રજુઆત કરી હતી. તો સાથે જ્યાં કામગીરી પૂર્ણ થઈ ત્યાં મેટ્રોના બેરીકેટ હટાવી રસ્તાઓ ખુલ્લો કરો તેમ ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ કહ્યુ હતું.
