દ્વારકા શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય મહારાજે આંતકી હુમલાને વખોડ્યો
ધર્મ પૂછી હિન્દુ લોકોને ટાર્ગેટ કરતા આંતકીઓ વિરુદ્ધ ફટકાર વરસાવી
રાજકારણને સાઇડમાં મુકીને એક થવાની જરૂર
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકનાં મોતની ઘટનાને દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ વખોડી કાઢી છે અને ચિંતા પણ વ્યક્ત કરી છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઇ શંકરાચાર્યએ કહ્યું હતું કે ભારત જેવા લોકતાંત્રિક દેશ માટે ચિંતાની વાત છે કે ધર્મવિશેષ લોકોને પૂછીપૂછીને મારવામાં આવે. નોંધનીય છે કે પહેલગામ આતંકી હુમલા બાદ દેશભરના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ચાર શંકરાચાર્યમાંથી સૌપ્રથમ દ્વારકાની શારદાપીઠના શંકરાચાર્યએ વખોડી કાઢી અને દેશના લોકોને એકતા બતાવી આતંકવાદનો મુહતોડ જવાબ આપવા અપીલ કરી છે. શંકરાચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે મુસ્લિમ ધર્મના લોકો પાસે અપેક્ષા છે કે તેમણે આતંકવાદ વિરુદ્ધ બોલીને ભારતીયતા સિદ્ધ કરવી જોઈએ.
ધર્મ શબ્દનો અર્થ ન જાણવાના કારણે આતંકવાદને ધર્મ સાથે જોડી દેવામાં આવે છે. આતંકવાદીઓનું તો એ જ કર્તવ્ય છે કે હત્યા કરો. ત્રેતાયુગમાં રાવણનું એ કર્તવ્ય હતું, દ્વાપરમાં કંસનો એ ધર્મ હતો. કળિયુગમાં આ આતંકીઓ રાવણ અને કંસના રૂપમાં ઉત્પન્ન થઈ આપણી રાષ્ટ્રીયતા પર હુમલો કરે છે. એકતાની આવશ્યક્તા છે. આજે આપણા દેશની ત્રણેય સેના એટલી મજબૂત છે કે આમને-સામને યુદ્ધ કરવાની તેમનામાં હિંમત નથી. ભારતને નિર્બળ કરવા માટે આતંકવાદનો આશરો લઈને વિદેશી ષડ્યંત્ર આ પ્રકારના કૃત્ય કરે છે. સમજવું જરૂરી છે કે આપણી એકતા જ તેનો ઉત્તર છે. તમામ હિન્દુઓએ પક્ષાપક્ષીથી પર ઊઠવું જોઈએ એ જ તેનો મુહતોડ જવાબ હશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી