કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના બનાસકાંઠાના પ્રવાસીઓ પરત ફર્યા
આતંકી હુમલા પહેલા ભૂસ્ખલનની ઘટનામાં ફસાયા હતા
વતન પરત ફરતા પરિવારજનો સાથે મળતા ભેટી રડી પડયાં
બનાસકાંઠાના પાલનપુરના મિરાગેટ વિસ્તારના કાશ્મીર ગયેલ પ્રવાસીઓની બસ શનિવાર સવારે 10.38 કલાકે આવી પહોંચી હતી. પાલનપુરના 20 લોકો વતન પરત ફરતા પરિવારજનો સાથે મળતા ભેટી રડી પડયાં હતા. પહલગામમાં આતંકી હુમલાથી બાળકો ડરી ગયા હોવાથી ઘરે જવાની જીદ કરતા હતા.
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીન હુમલાથી ભયના માહોલ વચ્ચે બનાસકાંઠાના પાલનપુરથી કાશ્મીર પ્રવાસે ગયેલા પ્રવાસીઓ શનિવારે પરત આવતા પરિવારના સભ્યોએ રાહતનો શ્વાસ લીધો છે, પાલનપુરના અને કશ્મીરમાં પ્રવાસે ગયેલા પ્રવાસીએ જણાવ્યું હતું કે, ખાવા-પીવાની વ્યવસ્થા સારી હતી. કોઈ તકલીફ પડી નહોતી. એક રાત અને એક દિવસ ગાડીમાં કાઢવો પડ્યો હતો. ચંચળબેન સોલંકીએ જણાવ્યું હતું કે, રામબનમાં ગાડી પહોંચી ત્યારે ભૂસખલન થયું હતું. અમે ગાડીમાં ફસાઈ ગયા હતા. ડ્રાઈવર પણ ડરી ગયો હતો. એક રાત અને એક દિવસ ભૂખ્યા તરસ્યા ગાડીમાં રહ્યા હતા.બીજી રાત્રે આર્મીવાળા આવ્યા અને અમને લઇ ગયા હતા.
પહલગામમાં હુમલો થતા પ્રવાસીઓએ વધુમાં જણાવ્યું હતું કે કલેક્ટર સાહેબે ફોન પર વાત કરી હતી કે કોઈ તકલીફ પડે તો જણાવજો. રસ્તો ખુલ્યા બાદ આર્મી દ્વારા અમને સલામત રીતે લઇ જવાયા હતા.પાલનપુરના પ્રવાસી ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે, ત્યાં ભેખડો ઘસી પડી હતી. મોટા કરા સાથે વરસાદ થયો હતો. જીવ જોખમમાં મુકાયો હતો. આગળ જતા આતંકી હુમલો થયો હતો. હુમલા બાદ બે દિવસ બસમાં ફસાયેલા રહ્યા હતા. પાલનપુરના મોનિકાબેને જણાવ્યું હતું કે, જ્યારે ઘટના બની ત્યારે અમે પહેલગામમાં નહોતા. એક દિવસ પહેલા ત્યાંથી પરત આવી ગયા હતા. ઘટના બાદ આર્મી અને પોલીસ દ્વારા કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. વાદળ ફાટવાથી શ્રીનગર હાઇવે બંધ થયો હતો.ખાવા-પીવામાં કોઈ તકલીફ પડી નહોતી. પરંતુ ઘટના બાદ ડરનો માહોલ હતો. બાળકો પણ ડરી ગયા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી