બનાસકાંઠા વડગામમાં કોંગ્રેસની હાર બાદ ભડકો.
જીગ્નેશ મેવાણીના રાજીનામાની ઉઠી માંગ.
દિનેશ પરમારે હાર માટે મેવાણીને ગણાવ્યા જવાબદાર.
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ચૂંટણીના પરિણામો બાદ મોટો વિવાદ સર્જાયો છે. સ્થાનિક નેતા દિનેશ પરમારે હાર માટે સીધો આક્ષેપ જીગ્નેશ મેવાણી પર લગાવ્યો છે. તેમણે મેવાણીને હાર માટે મુખ્ય જવાબદાર ગણાવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક નેતા દિનેશ પરમારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપર આક્ષેપ કરતા કહ્યું છે કે અગાઉ પ્રદેશ સંગઠન સમક્ષ રજૂઆત કરી હોવા છતાં ધ્યાન આપવામાં આવ્યું નહોતું. ટિકિટ વહેંચણી પ્રક્રિયામાં કોંગ્રેસને જાણીજોઈને હરાવવાનું મોટું કાવતરું રચવામાં આવ્યું હોવાની વાત તેમણે કરી છે. આ હાર પાછળ માત્ર ને માત્ર જીગ્નેશ મેવાણીની રણનીતિ કામ કરી ગઈ છે. વડગામ વિસ્તારમાં અનુસૂચિત જાતિની અનામત પાંચેય બેઠકો પર કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હવે પ્રજાનો જનાદેશ ગુમાવી બેઠા છે. અત્યાર સુધી બનાસકાંઠાની જનતા હંમેશા કોંગ્રેસ પક્ષની સાથે રહી છે. આ જ કારણથી અગાઉ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન રહ્યું હતું. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને પ્રજા પક્ષથી વિમુખ થઈ રહી છે. દિનેશ પરમારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મેવાણીએ હવે નૈતિકતાના આધારે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.
ચૂંટણીના પરિણામો પરથી સાબિત થાય છે કે 2027 ના ટેસ્ટમાં લોકોએ જીગ્નેશ મેવાણીને સંપૂર્ણ રીતે નકાર્યા છે. દિલ્હીઅને પ્રદેશ સંગઠને આ ગંભીર બાબતની નોંધ લેવી ખૂબ જરૂરી છે. માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાના માનીતા અને ચેલા-ચપાટાને ટિકિટ આપીને કોંગ્રેસને હરાવવાનું કામ થયું છે. લાયક ઉમેદવારોના બદલે મનસ્વી રીતે ટિકિટ વહેંચીને પક્ષના પાયા નબળા કર્યા છે. આ પ્રકારની કાર્યપદ્ધતિ પક્ષના ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ રહી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
