પાકિસ્તાન ઉપર ભારતનું ઓપરેશન સિંદૂર
7 મિનિટમાં 9 આતંકી ટાર્ગેટનો ખાતમો
કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા સાથે વિદેશ સચિવની પ્રેસવાર્તા
બુધવારે સવારે 10:30 વાગ્યે સરકાર, સેના અને વાયુસેનાના અધિકારીઓએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાં પર થયેલા હવાઈ હુમલા અંગે એક બ્રીફિંગ યોજી હતી. સૌપ્રથમ હવાઈ હુમલાનો 2 મિનિટનો વીડિયો બતાવાયો, જેમાં આતંકવાદીઓનાં ઠેકાણાં પર ભારતીય સેનાની કાર્યવાહી દર્શાવવામાં આવી હતી. મંગળવારે રાત્રે 1:04 વાગ્યાથી 1:11 વાગ્યાની વચ્ચે 7 મિનિટમાં 9 લક્ષ્યનો નાશ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે, જોકે ઓપરેશન પૂર્ણ થવામાં કુલ 25 મિનિટ લાગી.
દેશના ઇતિહાસમાં પહેલીવાર વાયુસેના અને સેનાનાં એક મુસ્લિમ અને એક હિન્દુ મહિલા અધિકારી સેનાની પ્રેસ-કોન્ફરન્સમાં હાજર રહ્યાં હતાં. આર્મી કર્નલ સોફિયા કુરેશી અને એરફોર્સ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન વિશે માહિતી આપી. પહેલગામમાં એક કાયરતાપૂર્ણ હુમલો હતો, જેમાં લોકોને તેમના પરિવારોની સામે મારવામાં આવ્યા હતા. લોકોનાં માથામાં ગોળી મારી હતી. બચી ગયેલા લોકોને આ હુમલાનો સંદેશ ફેલાવવાનું કહેવામાં આવ્યું. આ હુમલો જમ્મુ અને કાશ્મીરની સારી સ્થિતિને અસર કરવા માટે કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે 2.25 કરોડથી વધુ પ્રવાસીઓ કાશ્મીર આવ્યા હતા. આ હુમલાનો ઉદ્દેશ કાશ્મીરના વિકાસ અને પ્રગતિને નુકસાન પહોંચાડીને એને પાછળ રાખવાનો હતો. હુમલાની આ પદ્ધતિ જમ્મુ અને કાશ્મીર અને સમગ્ર દેશમાં ફેલાયેલાં કોમી રમખાણોથી પ્રેરિત હતી. TRF નામના એક જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. એના પર યુએન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે લશ્કર સાથે જોડાયેલું છે.
છેલ્લા દાયકામાં 350થી વધુ ભારતીય નાગરિકો સરહદ પારના આતંકવાદનો ભોગ બન્યા છે. આ ક્રૂર હિંસામાં 800થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સમયગાળા દરમિયાન દેશની રક્ષા કરતી વખતે 600થી વધુ સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 1,400થી વધુ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા છે. છેલ્લા 3 દાયકાથી પાકિસ્તાનમાં આતંકવાદીઓનું નિર્માણ થઈ રહ્યું છે. હુમલા પછી પણ આ વાત સામે આવી છે. અમે પાકિસ્તાન અને પીઓકેમાં 9 ટાર્ગેટ પસંદ કર્યા હતા અને તેમને નષ્ટ કર્યા હતા. અહીં લોન્ચપેડ અને તાલીમ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
પીઓકેમાં પહેલું સવાઈ નાલા મુઝફ્ફરાબાદમાં હતું, એ લશ્કરનું તાલીમ કેન્દ્ર હતું. સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામ હુમલાના આતંકવાદીઓએ અહીં તાલીમ લીધી હતી. મુઝફ્ફરાબાદના સૈયદના બિલાલ કેમ્પમાં આતંકવાદીઓને શસ્ત્રો, વિસ્ફોટકો અને જંગલમાં ટકી રહેવાની તાલીમ આપવામાં આવતી હતી. ગુરપુરના કોટલીમાં લશ્કરનો એક કેમ્પ હતો, જ્યાં 2023માં પૂંછમાં યાત્રાળુઓ પર હુમલા માટે આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી હતી. મરકઝ સુભાનલ્લાહ ભાવલપુર જૈશનું હેડક્વાર્ટર હતું. અહીં આતંકવાદીઓની ભરતી અને તાલીમ આપવામાં આવતી હતી. જૈશના વરિષ્ઠ અધિકારીઓ અહીં આવતા હતા. કોઈ નાગરિક જાનહાનિના અહેવાલ નથી, અમે રહેણાક વિસ્તારોને નિશાન બનાવ્યાં નથી.
1971માં પાકિસ્તાન પર થયેલા હુમલા પછી આ પહેલીવાર છે, જ્યારે 54 વર્ષ પછી ત્રણેય દળોએ ફરી એકવાર આતંકવાદી ઠેકાણાં સામે સંયુક્ત કાર્યવાહી કરી છે. આમાં આર્મી, નેવી અને એરફોર્સનો સમાવેશ થાય છે. લગભગ 9 કલાક પછી સવારે 10:30 વાગ્યે એક પ્રેસ-કોન્ફરન્સ દ્વારા ઓપરેશન સિંદૂર વિશે સત્તાવાર માહિતી આપવામાં આવી. વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ઓપરેશન સિંદૂર અંગે મીડિયા બ્રીફિંગ કરી. આ પહેલાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે દિલ્હીમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહને મળ્યા હતા. આ બેઠકમાં સુરક્ષા બાબતો અને સંરક્ષણ નીતિ પર ચર્ચા કરવામાં આવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી