સુરતમાં ‘ઓપરેશન સિંદૂર’બાદ મૃતક શૈલેષ કળથિયાની પત્નીની પ્રતિક્રિયા
મૃતક શૈલેષ કળથિયાની પત્નીએ કહ્યું, સરકારે પહેલગામનો બદલો લીધો
મારા પતિના આત્માને મળશે શાંતિ : મૃતક શૈલેષ કળથિયાની પત્ની
જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં પતિને ગુમાવનાર મહિલાએ ભારતીય સૈનાએ પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા પરના હુમલાને આવકાર્યો હતો અને સરકારે પહેલગામનો બદલો લીધો હોવાનુ કહી હવે મારા પતિના આત્માને શાંતિ મળશે તેમ કહ્યુ હતું.
22 એપ્રિલ મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પર્યટકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 27 લોકોનાં મોત થયા છે, જેમાં સુરતના શૈલેષ હિંમતભાઈ કળથિયાનું પણ મોત થયું હતું. ત્યારે આજે ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર હુમલો કર્યો છે. જેથી આ હુમલાથી સરકારે બદલો લીધો હોવાની લાગણી વ્યક્ત કરતાં મૃતકના પત્નીએ કહ્યું કે, મારા પતિના આત્માને શાંતિ મળશે. મૃતક શૈલેષભાઈ કળથિયાના પત્ની શિતલબેને કહ્યું કે, મને સરકાર પર ભરોસો હતો. સરકારે આતંકીઓના ઠેકાણા પર હુમલો કરીને બદલો લીધો છે. ત્યારે મારા પતિના આત્માને શાંતિ મળી હશે. પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે જે રીતે પહેલગામ હુમલામાં મૃત્યા પામેલાને સહાય કરી છે. તેનાથી વધુ સહાય ગુજરાત સરકાર અમને કરે જેથી અમારા બાળકોને ન્યાય મળે.