સુરતમાં રત્નકલાકારને 20 ફૂટ ઢસડી કાર ચડાવનાર જમીન દલાલ ઝડપાયો
આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું,
પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો
સુરતમાં સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઈક પર જતાં રત્નકલાકારને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર કારચાલકને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો છે.
સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ સરથાણા યોગીચોક ખાતે આવેલ યોગીધારા સોસાયટીમાં 39 વર્ષીય રાજેશ બાવચંદભાઈ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પત્ની, એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવારનું ભરણપોષણ કરતા હતા. તો રાજેશભાઈ બાઇક પર સરથાણા વિસ્તારમાં આવેલ નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા માટે નીકળ્યા હતા. દરમિયાન સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે ફોરવ્હીલ ચાલકે તેઓને અડફેટે લેતા રાજેશભાઈનુ મોત નિપજ્યુ હતું. તો બનાવને લઈ સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અકસ્માત મોતની ઘટનાને અંજામ આપનાર કતારગામના કાર ચાલક સુરેશ ઉર્ફે સુરો કેવડિયાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.