અલથાણ અને ભીમરાડમાં ગંદુ પીવાનું પાણી,
સુરતના પોશ વિસ્તારમાં જીવાતવાળું પાણી આવતા 1 લાખ લોકો પરેશાન
અલથાણ-ભીમરાડમાં પાણીની પાઈપલાઈનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થતાં ભારે રોષ,
પાણી સમિતિ અધ્યક્ષનું અધિકારીઓને અલ્ટીમેટમ
સુરતના અલથાણ અને ભીમરાડ વિસ્તારનાં લોકો કહે છે કે તેમના ઘરોમાં સફેદ પાણી, માટીવાળું પાણી અને જીવાતોથી ભરેલું દુર્ગંધયુક્ત પાણી – આ ત્રણ પ્રકારનું પાણી આવી રહ્યું છે. પીવાના પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થઈ જતાં પાણીનો રંગ પણ બદલી ગયો છે અને તેમાં જીવાતો સ્પષ્ટ દેખાય છે. અનેક પરિવારો તો પાણીનો ઉપયોગ જ બંધ કરી દીધો છે અને બીજી જગ્યાથી પાણી લાવવાનો ઉપાય શોધી રહ્યા છે.
સુરત શહેરના પોશ ગણાતા અલથાણ અને ભીમરાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લોકોને ગંદા અને દુર્ગંધયુક્ત પીવાના પાણીની સમસ્યા ભોગવવી પડી રહી છે. લોકોના ઘરોમાં આવતું પાણી એટલું ખરાબ છે કે, તેમાં જીવતો પણ તરી રહી છે. આ વિસ્તારમાં સફેદ, માટીવાળું અને જીવાતભરેલું પાણી આવી રહ્યું છે, જે પીવાનું તો દૂર પણ ઉપયોગ માટે પણ અયોગ્ય છે. પાણીની પાઈપલાઈનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થવાથી આ સમસ્યા ઉભી થઈ છે. આશરે એક લાખથી વધુ લોકો આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે.આ ગંભીર સમસ્યાને પગલે તત્કાલ પાણી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં શાસકોએ હાઇડ્રોલિક અને ઝોન અધિકારીઓને ચીમકી આપી હતી કે, જો 24 કલાકમાં સમસ્યાનો ઉકેલ નહિ આવે તો જવાબદાર કર્મીઓ સામે કડક કાર્યવાહી કરાશે. ગંદા પાણીથી ઉદ્ભવતા આરોગ્યના જોખમોને લઇ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.પાણી સમિતિના અધ્યક્ષ હિમાંશુ રાઉલજીએ કહ્યું કે, ઉનાળાની ઋતુમાં પાણીજન્ય રોગો ઝડપથી ફેલાય છે. જેથી લીકેજ સંબંધિત ફરિયાદો પર 24 કલાકમાં કાર્યવાહી કરવાની ખાસ સૂચના આપવામાં આવી છે. કોઈ પણ વિસ્તારોમાં પાઇપ તૂટી જાય અથવા લીકેજ થાય, તો તુરંત રિપેર અને પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવાનું આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે.