ભાવનગરના કુંભારવાડામાં મહાનગરપાલિકાનું ડિમોલેશન
નવનિર્મિત રોડમાં બાધારૂપ 26થી વધુ દબાણો દૂર
ફળિયા, શેડ અને ઓટલા સહિતના દબાણો હટાવાયા
દબાણ હટાવવાની કામગીરીનો સ્થાનિકોનો ઉગ્ર વિરોધ
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રોડ નવનિર્માણમાં બાધારૂપ દબાણો સામે મહાનગરપાલિકાએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી. તંત્ર દ્વારા 26થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જોકે, કાર્યવાહી દરમિયાન સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. મહાલક્ષ્મી મિલની ચાલી અને રેલવે વચ્ચેના વિસ્તારમાં રોડ નવનિર્માણમાં બાધારૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવ સેલના ઇન્સ્પેક્ટર સુરેન્દ્રસિંહ રાણાના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં અગાઉ રસ્તો બનાવવામાં આવ્યો હતો અને હવે રોડના નવનિર્માણનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. જોકે, નિર્ધારિત પ્લોટની હદથી આગળ ફળિયા, શેડ, ઓટલા સહિતના દબાણો કરવામાં આવ્યા હતા. આ દબાણો દૂર કર્યા વગર રોડ નવનિર્માણની કામગીરી શક્ય ન હોવાથી BMC કમિશનરની સૂચનાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 26થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં રોડવેઝ વિભાગ દ્વારા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
દબાણ હટાવ સેલની ટીમ સ્થળ પર પહોંચતા સ્થાનિક રહેવાસીઓએ કાર્યવાહીને લઈને ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ અધિકારીઓ સાથે દલીલ કરતાં આક્ષેપ કર્યો હતો કે તેમને કોઈ નોટિસ આપવામાં આવી નથી અને નોટિસ આપ્યા વગર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો અગાઉ નોટિસ આપવામાં આવી હોત તો તેઓ પોતાની રીતે રોડમાં બાધારૂપ દબાણો દૂર કરી શક્યા હોત અને શેડ સહિતની વસ્તુઓને નુકસાનથી બચાવી શક્યા હોત. સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યો હતો કે રાજકીય હસ્તીઓના ઈશારે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, આ આક્ષેપ અંગે તંત્રનો પક્ષ મહત્વનો રહેશે.
