રાત્રે લક્ઝરી બસ યમરાજ બની
સુરતના મોટા વરાછાના રામચોકની ઘટના,
પૂરપાટ ઝડપે જતી બસે 42 વર્ષીય યુવકને કચડી નાખતા મોત
પ્રકાશ ઓડ નામના વ્યક્તિ પગપાળા રોડ કૉસ કરતા હતા
સુરતના મોટા વરાછા વિસ્તારમાં ખાનગી લક્ઝરી બસ બેફામ બની હોવાની ઘટના બની છે. મોટા વરાછા વિસ્તારમાં આવેલા રામચોક નજીકના માણકી મા ચોક ખાતે રોડ ક્રોસ કરી રહેલા એક 42 વર્ષીય યુવકને પૂરપાટ ઝડપે દોડતી ખાનગી બસના ચાલકે કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ડ્રાઇવરને પણ ઝડપી પાડ્યો હતો. હાલ આ મામલે ઉત્રાણ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, મોટા વરાછા વિસ્તારમાં 42 વર્ષીય પ્રકાશ પ્રભાતભાઈ ઔડ પરિવાર સાથે રહે છે. ગત રોજ ઘર નજીક આવેલા રામચોકની પાસેના મણકી મા ચોક ખાતે પગપાળા પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પ્રકાશને રોડ ક્રોસ કરતાં સમય પૂરપાટ ઝડપે દોડી રહેલી શ્રીરામ નામની ખાનગી લક્ઝરી બસના ચાલકે પ્રકાશને અડફેટે લઈને કચડી નાખ્યો હતો. બસનું ટાયર પ્રકાશની ઉપરથી ફરી વળતા ઘટનાસ્થળે તેનું મોત નીપજ્યું હતું.ખાનગી બસના ચાલક દ્વારા અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટના અંગેની જાણ થતા ઉત્રાણ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. આ સાથે લોકોમાં અકસ્માત કરનાર બસચાલક વિરુદ્ધ રોષ પણ જોવા મળી રહ્યો હતો. ઉત્રાણ પોલીસ દ્વારા સ્થિતિ કાબુમાં લઈને ટ્રાફિક હળવો કરવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.અકસ્માત કરનાર ખાનગી બસના ચાલક સિધ્ધરાજસિંહ સરવૈયાને ઝડપી પાડવામા આવ્યો હતો. ઉત્રાણ પોલીસ દ્વારા બસનાં ચાલકે સિધ્ધરાજ સિંહ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક યુવકના પરિવારને જાણ કરવામાં આવતા તે પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.