સમગ્ર દેશમાં ભગવાન પરશુરામ જન્મજયંતિ ઊજવણી કરાઈ
સુરત શહેરમાં પણ આ પાવન અવસરે ભવ્ય કાર્યક્રમો યોજાયા
લોકકલ્યાણની દૃષ્ટિએ હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરાયું
સુરતમાં અડાજણ સ્થિત પરશુરામ ગાર્ડન ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ, સુરત દ્વારા ભગવાન પરશુરામ જન્મજયંતિ ઊજવણી કરવામાં આવી હતી.
આજે સમગ્ર દેશમાં ભગવાન પરશુરામ જન્મજયંતિ ઊજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેરમાં પણ આ પાવન અવસરે ભવ્ય કાર્યક્રમો યોજાયા. શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ, સુરત દ્વારા અડાજણ સ્થિત પરશુરામ ગાર્ડન ખાતે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ભગવાન પરશુરામની પ્રતિમાના શાસ્ત્રોક્ત વિધીથી અભિષેક તથા પૂજા સાથે કરવામાં આવી. મોટી સંખ્યામાં હાજર રહેલા ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભગવાન પરશુરામની આરતી ઉતારી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ ઉજવણી માત્ર ધાર્મિક જ નહીં, પણ સામાજિક સંદેશ આપતી બની હતી. તાજેતરમાં દેશભરમાં બનેલી આતંકી ઘટનાઓમાં જિંદગી ગુમાવનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેમને યાદ કરવામાં આવ્યા. વિશેષતા તરીકે કાર્યક્રમમાં લોકકલ્યાણની દૃષ્ટિએ હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ તબીબી નિષ્ણાતોએ લોકોનું નિઃશુલ્ક પરીક્ષણ કર્યું. આ ભવ્ય આયોજનમાં શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી , અનેક બ્રાહ્મણ સમાજના આગેવાનો, સમાજસેવકો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી અને પાવન અવસરને યાદગાર બનાવ્યો.