અમદાવાદ નકલી ચલણી નોટના પ્રકરણમાં વધુ એક ખુલાસો
સુરતમાં ધોરણ પારડી આશ્રમમાં નકલી નોટો બની હતી
રાજકોટમાં પણ પ્રદીપે અનેક લોકોનું ફુલેકું ફેરવ્યાની ચર્ચા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ઓપરેશનમાં અમરાઈવાડી વિસ્તારમાંથી રૂપિયા 2 કરોડથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ તમામ નોટો 500 રૂપિયાના દરની છે. સુરતમાં નકલી નોટો બની હતી અને અમદાવાદમાં હેરફેર માટે આવી હતી. હાલ પોલીસે તમામની ધરપકડ કરી આ બનાવટી ચલણી નોટો મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સત્યમ યોગ ફાઉન્ડેશનની ગાડીમા નકલી નોટોની હેરાફેરી થતી હતી. નોટોની સપ્લાય માટે કાર પર ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા અને આયુષ મંત્રાલયના નામનો ઉલ્લેખ થતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ અને સુરતમાં કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદમાંથી 2.10 કરોડની અને સુરતમાં 80 લાખની નકલી નોટો કબ્જે કરી છે. આ મામલે સત્ય યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરુજીની પણ ધરપકડ કરાઈ છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલા શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અનેક દસ્તાવેજો કબ્જે કર્યા છે. નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબ્જે કરાયા છે.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના રો હાઉસના મકાન નંબર 77માં અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યા હતા, જેમાં યોગગુરૂ પ્રદિપ સાથે સંકળાયેલા મુકેશ પટેલ નામના વ્યક્તિના ઘરેથી મોટી માત્રામાં ફેક કરન્સી અને પ્રિન્ટર સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે આ તમામ શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને હાલ મુકેશ પટેલની અટકાયત કરીને આ નેટવર્ક પાછળ અન્ય કોની સંડોવણી છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. નકલી નોટોના જથ્થા સાથે ઝડપાયેલો પ્રદીપ જોટાંગીયા ઉર્ફે પ્રદીપ ગુરુજી રાજકોટમાં પણ સત્યમ યોગ & હેલ્થ સેન્ટરના નામે કલાસ ચલાવતો હતો. હાલ તેનો નાનોભાઈ અમિત જોટાંગીયા યોગ કલાસ ચલાવે છે. કોરોના પહેલા 5 વર્ષથી પ્રદીપ ગુરુજી સુરતમાં રહેવા માટે ટ્રાન્સફર થઈ ગયો હતો. રાજકોટમાં પણ અનેક લોકોનું ફૂલેકુ ફેરવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
