દુબઈમાં ફસાયેલા રાજકોટના યુવાને માગી મદદ
મધ્ય એશિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ફ્લાઈટ થઈ રદ
પોરબંદરના પણ હજારો યુવાનો ખાડી દેશોમાં અટવાયા
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા ભીષણ મહાયુદ્ધની અસર હવે સીધી રીતે વિદેશમાં રહેતા ગુજરાતીઓ પર જોવા મળી રહી છે. ખાસ કરીને દુબઈ અને અબુધાબીમાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે. રાજકોટના એક પરિવારના ત્રણ સભ્યો દુબઈમાં મિસાઈલ હુમલા વચ્ચે ફસાયા હોવાના સમાચારથી ફફડાટ ફેલાયો છે. બીજી તરફ, પોરબંદરના પણ હજારો યુવાનો ખાડી દેશોમાં અટવાયા છે.
રાજકોટના એક પરિવારના ચાર સભ્યોમાંથી ત્રણ સભ્યો છેલ્લા ત્રણ વર્ષથી દુબઈની રેસ્ટોરન્ટમાં નોકરી કરી રહ્યા છે, જેઓ હાલ ત્યાંના યુદ્ધ જેવી સ્થિતિમાં ફસાયા છે. દુબઈમાં ફસાયેલી યુવતીએ તેની માતાને વીડિયો કોલ દ્વારા હચમચાવી નાખે તેવી વિગતો આપતા જણાવ્યું કે, તેઓ જ્યાં રહે છે ત્યાંથી માત્ર ૨૦ કિમી દૂર જ મિસાઈલ પડી હતી. યુદ્ધની આ ગંભીરતાને જોતા ગઈકાલે વિશ્વપ્રસિદ્ધ બુર્જ ખલીફાની લાઈટો પણ બંધ કરી દેવામાં આવી હતી અને ત્યાં અંધારપટ છવાયો હતો. હાલમાં દુબઈમાં રહેતા તમામ લોકોને સુરક્ષાના ભાગરૂપે ઘરમાં જ રહેવાની કડક સૂચના આપવામાં આવી છે અને મિસાઈલના પ્રચંડ ધડાકાઓના અવાજથી ત્યાં વસતા ગુજરાતીઓ ભારે ફફડાટ અનુભવી રહ્યા છે.
માત્ર રાજકોટ જ નહીં, પરંતુ પોરબંદર પંથકના અંદાજે 10 થી 15 હજાર જેટલા યુવકો અને યુવતીઓ હાલ મધ્ય પૂર્વના દેશોમાં ફસાયા હોવાની વિગતો સામે આવી છે. પોરબંદરના અનેક પરિવારોના સંતાનો ત્યાં રોજીરોટી માટે ગયા છે, જેમના સંપર્ક કરવામાં મુશ્કેલી પડી રહી હોવાથી પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દુબઈમાં રહેતા વિદેશીઓ અને ખાસ કરીને ભારતીયો અત્યારે ખૂબ જ ચિંતિત છે. જોકે, આ મુશ્કેલ સમયમાં ત્યાં રહેતા ગુજરાતીઓ એકબીજાની મદદ કરી રહ્યા છે અને હિંમત આપી રહ્યા છે. રાજકોટના પરિવારે ભારત સરકાર પર ભરોસો વ્યક્ત કર્યો છે કે વહેલી તકે તેમના સંતાનોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
