વાઘનેરા રોડનો ૭ વર્ષનો ‘વનવાસ’
નવા ઉકાઈ તાલુકાના વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે લોકઆક્રોશ
કાસના ગગનભેદી દાવાઓ અને ‘સ્માર્ટ’ વહીવટની વાતો વચ્ચે વાઘનેરા ગામના લોકો છેલ્લા ૭ વર્ષથી નરક જેવી જિંદગી જીવવા મજબૂર બન્યા છે. વર્ષ ૨૦૧૯ થી ગામનો ગામીત ફળિયામાં દિનેશ ભાઈ કિશનથી પંચાયત સુધી 450 મીટરનો માર્ગની અત્યંત બિસ્માર અને ખખડધજ હાલત અંગે ગ્રામજનોએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટર કચેરી સુધી અરજીઓનો ખડકલો કરી દીધો છે, છતાં જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. સ્થાનિકોનો આક્રોશપૂર્ણ આક્ષેપ છે કે વહીવટી તંત્ર માત્ર કાગળ પર કામગીરી બતાવીને લોકોની પ્રાથમિક સુવિધા સાથે ચેડાં કરી રહ્યું છે.
હવે જ્યારે વહીવટી સરળતાના હેતુથી નવો ‘ઉકાઈ તાલુકો’ અસ્તિત્વમાં આવ્યો છે, ત્યારે વાઘનેરાના લોકોમાં ફરી એકવાર આશાનું કિરણ જાગ્યું હતું કે કદાચ હવે તેમના નસીબ બદલાશે. પરંતુ, સવાલ એ થાય છે કે શું આ નવા બનેલા ઉકાઈ તાલુકાનું તંત્ર આ સાત વર્ષ જૂના ‘પાપો’ ધોઈ શકશે? કે પછી વાઘનેરાનો આ રોડ નવા તાલુકાના નકશામાં પણ માત્ર એક ઉપેક્ષિત ફાઈલ બનીને જ રહેશે? માર્ગની હાલત એટલી વિકટ છે કે મોટા ખાડાઓ જાણે અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાના દિવસોમાં શાળાએ જતા નિર્દોષ વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વયોવૃદ્ધો માટે આ રસ્તો પાર કરવો એ કોઈ મોટી ચેલેન્જથી ઓછું નથી.
અત્યાર સુધી અધિકારીઓ દ્વારા મળેલા માત્ર ખોખલા આશ્વાસનોથી ગ્રામજનોની ધીરજ ખૂટી રહી છે. તંત્રની આ ઉદાસીનતા સાબિત કરે છે કે તેમને પ્રજાની મુશ્કેલીઓ સાથે કોઈ લેવાદેવા નથી. વાઘનેરાની જનતા હવે લોલીપોપથી સંતોષાવા તૈયાર નથી. આગામી ટૂંકા સમયગાળામાં રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી માગ છે , વિકાસના નામે થતા આ અન્યાય રૂપ છે . તંત્ર માટે આ એક મોટી પરીક્ષા છે: શું તેઓ માત્ર સરકારી આદેશોનું પાલન કરશે કે પછી ખરેખર જમીની હકીકત સમજીને પ્રજાને સુવિધા પૂરી પાડશે? સમય જ કહેશે કે ઉકાઈ તાલુકાનું નવું વહીવટી માળખું જનતાના ભરોસા પર ખરું ઉતરે છે કે નહીં.
