બનાસકાંઠા દાંતાના ચડોતરું પીડિત 29 આદિવાસી પરિવારની ઘરવાપસી.
મોટા પીપોદરા ગામમા પરિવારના 300 સભ્યોનું પુનર્વસન.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માનભેર પરિવારોને આવકાર્યા.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટા પિપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલાં ‘ચડોતરું’ નામના કુરિવાજને કારણે વિસ્થાપિત થયેલા 29 કોદાર્વી પરિવારના આશરે 300 સભ્યનું આજે વતનમાં ઐતિહાસિક પુનર્વસન કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિસ્થાપિત થયેલા 29 કોદાર્વી પરિવારના આશરે 300 સભ્યને માનભેર પોતાના ગામમાં આવકારવામાં આવશે, જે સામાજિક સૌહાર્દ અને પુનરુત્થાનનું પ્રતીક બનશે.
આદિવાસી સમાજમાં પ્રચલિત ‘ચડોતરું’ એ વેર લેવાની એક પરંપરા છે. આ કુરિવાજને કારણે જ મોટા પિપોદરા ગામના કોદાર્વી સમુદાયના 29 પરિવારના 300 જેટલા સભ્યને 12 વર્ષ પહેલાં પોતાનું વતન છોડી પાલનપુર અને સુરત જેવાં શહેરોમાં આશ્રય લેવો પડ્યો હતો. પોતાનાં ઘર, જમીન અને મૂળિયાંથી વિખૂટા પડીને આ પરિવારોએ લાંબો સમય વિસ્થાપનની પીડા ભોગવી હતી. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ વિસ્થાપિત સમુદાયની વિગતો મેળવી તેમનો સંપર્ક કર્યો. ગ્રામપંચાયતના આગેવાનો અને બંને સમુદાયના અગ્રણીઓ સાથે બેઠકો યોજીને સમાધાન અને સુલેહ-શાંતિ માટે પ્રયાસો કરવામાં આવ્યા. આ પહેલથી ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ સ્થાપિત થઈ શકે એ માટેનો માર્ગ મોકળો બન્યો.
લગભગ 12 વર્ષ પહેલાં મોટા પિપોદરા ગામમાં આદિવાસી સમાજના એક ડાબી યુવકની હત્યા થઈ હતી. આ હત્યાનો આરોપ આ 29 પરિવારોના સભ્યો પર મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે કેસ પણ નોંધાયો હતો અને એક યુવકને પાંચ વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું, જોકે બાદમાં તે નિર્દોષ સાબિત થયો હતો. આ હત્યાના કારણે આદિવાસી સમાજના રીતિ-રિવાજ મુજબ “ચડોતરું” કરવામાં આવ્યું હતું. આ સામાજિક રિવાજના ભાગરૂપે થયેલા દબાણને કારણે આ 29 પરિવારોને ગામ છોડી દેવું પડ્યું હતું…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
