સુરતમાં આગામી 26 મી જુનના રોજ મોર્હરમ પર્વની ઉજવણી
લિંબાયત પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનુ આયોજન
મોહરમ પર્વ શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવાનો સંકલ્પ
સુરતમાં આગામી 26 મી જુનના રોજ મોર્હરમ પર્વની ઉજવણી થનાર હોય જેને લઈ લિંબાયત પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
સુરત શહેરમાં આગામી મોહરમ પર્વને અનુલક્ષીને નીકળનારા તાજિયા જુલુસને લઈ લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોલીસ અધિકારીઓ, વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. બેઠક દરમિયાન મોહરમના તાજિયા જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રહે તેમજ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ આયોજકોને સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરવા તેમજ જુલુસ દરમિયાન શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપવાની અપીલ કરી હતી. તો લિંબાયત વિસ્તારના આગેવાનોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી અને મોહરમના તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાય તે માટે જરૂરી સૂચનો રજૂ કર્યા હતાં.
પીઆઈએ જણાવ્યું હતું કે તાજિયા જુલુસના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે પૂર્વ આયોજન કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની અફવા અથવા ગેરસમજથી દૂર રહી સૌએ મળીને પર્વની ઉજવણી કરવી જોઈએ તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. બેઠક ના અંતે તમામ આગેવાનો અને પોલીસ તંત્રએ પરસ્પર સહયોગ અને સંકલન દ્વારા મોહરમ પર્વ શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
