સુરતમાં તાપી નદીને સ્વચ્છ અને સુંદર રાખવા સામાજિક સંસ્થા મેદાનમાં
જહાંગીરપુરા સ્થિત કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી સફાઈ અભિયાન
સ્વચ્છતા સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ
સુરતમાં તાપી નદીને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સામાજિક સંસ્થાઓએ અનોખી પહેલ કરી હોય તેમ જહાંગીરપુરા સ્થિત કુરુક્ષેત્ર ધામ ખાતે અધિક માસ નિમિત્તે વિશાળ તાપી સફાઈ અભિયાન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં સેવાભાવી લોકો જોડાયા હતાં.
સુરતના જહાંગીરપુરા કુરુક્ષેત્ર ધામ ખાતે તાપી સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિક માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાપી નદીમાં પવિત્ર સ્નાન કરવા આવતા હોય છે, ત્યારે ઘાટ સ્વચ્છ અને સુંદર રહે તે હેતુથી આ અભિયાન હાથ ધરાયું હતું. કુરુક્ષેત્ર ટ્રસ્ટ, પૂજ્ય મોટા હરિઓમ ટ્રસ્ટ, તાપીનમસુભ્ય ટ્રસ્ટ સહિત અનેક સામાજિક સંસ્થાઓના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સફાઈ અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા હતાં. સેવાભાવી કાર્યકરોએ તાપી ઘાટ વિસ્તારની સફાઈ કરી, કચરો દૂર કર્યો અને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો. આયોજકોએ કહ્યુ હતુ કે અધિક માસ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ કુરુક્ષેત્ર ઘાટ પર સ્નાન માટે આવે છે, ત્યારે તેઓને કોઈ અગવડતા ન પડે અને સ્વચ્છ વાતાવરણમાં તાપી માતાનું પવિત્ર સ્નાન કરી શકે તે માટે બે દિવસીય સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન દ્વારા સ્વચ્છતા સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
