કણબીવાડના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઈલ ગટગટાવી
બે લાખની રકમની સામે 12 લાખની પઠાણી ઉઘરાણી
જાનથી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર
ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતા અને કેફે ચલાવતા યુવાને દોઢ બે વર્ષ પહેલાં વ્યાજખોર પાસેથી બે લાખની રકમ વ્યાજે લીધી હતી. આ રકમની 12,15,000 ની ઉઘરાણી વ્યાજ સાથે કરતા વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને યુવાને ફિનાઈલ પી લેતા સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કણબીવાળ વિસ્તારમાં રહેતો અને વાઘાવાડી રોડ પર કેફે ચલાવતા પિયુષ નામના યુવાને આજથી દોઢ બે વર્ષ પહેલા ગેરકાયદે નાણાં ધીરધારનો ધંધો કરતા સમીર નામના શખ્સ પાસેથી ૩૦ ટકા વ્યાજ લેખે બે લાખ રૂપિયા ની રકમ વ્યાજે લીધી હતી અને આ બે લાખ પૈકી 1,75,000 ની રકમ ચૂકવી પણ આપી હતી પરંતુ વ્યાજખોર સમીરે પિયુષ ને કહેલ કે તારે વ્યાજ સહિત કુલ રૂપિયા 12,15,000 ની રકમ ચૂકવવાની થાય છે તેમ કહી છેલ્લા ઘણા સમયથી સમીરને શારીરિક માનસિક ત્રાસ આપતો હોય ગત રાત્રિના સમયે તેના સાગરીતો સાથે પિયુષના ઘરે પહોંચ્યો હતો અને 12 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને જો પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ત્રાસથી કંટાળી જઈને પિયુષ એ તેના ઘરે ફીનાઇલ પી લેતા સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે પિયુષ દ્વારા વ્યાજખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.
