ભરૂચના શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો રસ્તો બિસ્માર
પાણીની પાઈપલાઈન અને રોડની કામગીરીમાં ભારે વિલંબ
વરસાદમાં માટી ધોવાતા વાહનચાલકો પટકાયા
ભરૂચની શ્રવણ ચોકડીથી ગેઇલ ટાઉનશીપ સુધી રસ્તાની કામગીરી મંથરગતિએ ચાલી રહી હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. હાલ ધૂળ તથા ગંદકીથી પરેશાન લોકોએ રવિવારના રોજ વિરોધ પ્રદર્શન કરી તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો હતો. વરસાદમાં માટી ધોવાતા વાહન ચાલકો પણ પટકાયા હતા.
ભરૂચની શ્રવણ ચોકડીથી ગેઇલ ટાઉનશીપ સુધીના વિસ્તારમાં 20 જેટલી સોસાયટીઓ આવેલી છે અને આ વિસ્તાર વિકાસ પામી રહયો હોવા છતાં માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળી રહયો છે.અહીં બનાવવામાં આવેલી ડ્રેનેજ લાઇન તૂટી જવાથી ગંદા પાણીનો ભરાવો થઇ જતાં લોકો દુુર્ગંધથી પરેશાન થઇ ગયાં હતા. સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સોસાયટીઓમાં જવાનો એપ્રોચ રોડ છેલ્લા ઘણા સમયથી બધી બિસ્માર હાલતમાં થઈ ગયો છે. ચોમાસા પહેલા પ્રથમ વરસાદમાં માટી ધોવાતા વાહન ચાલકો પટકાયા છે ત્યારે મંથરગતિએ ચાલતી કામગીરી સામે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે .
સ્થાનિક રહેશોએ આક્ષેપ કર્યા હતા કે આ માર્ગ પરથી પસાર થતી વખતે લોકોને અનેક શારીરિક તકલીફ અને ધૂળની ડમરીઓના કારણે શ્વાસની તકલીફો પણ ઉભી થઈ છે. આ માર્ગ પરથી પસાર થતી મોપેડ ચાલક મહિલા પડી જતા તેની ઇજા પહોંચી હતી. આ વિસ્તારમાં દહેજની કંપનીઓ નોકરીઓ કરતા અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા વધારે છે. ખરાબ રસ્તા અને મારખાકીય સુવિધાઓના અભાવે તેઓ હવે વાપી તરફ સ્થળાંતર કરી રહ્યા છે. અહીં મોઢા પર માસ્ક પહેરીને બહાર નીકળવું પડે તેવી સ્થિતિ છે. વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તથા ગટર રીપેર કરવામાં આવે તેવી અમારી માગણી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
