દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી નીટ પરીક્ષા રદ્દ
શિક્ષણ જગતમાં પણ ભારે નારાજગી જોવા મળી
વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય સાથે ચેડાં
દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી નીટ પરીક્ષા રદ્દ થવાની ઘટનાને લઈને શિક્ષણ જગતમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. સુરતની પ્રેસિડેન્સી સ્કુલના આચાર્ય દીપિકા શુક્લએ આ મામલે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની મહેનત અને ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનો ખેલખલાસ સહન ન થવો જોઈએ.
પ્રેસિડેન્સી સ્કુલના આચાર્ય દીપિકા શુક્લએ જણાવ્યું કે લાખો વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત અને આશા સાથે NEET પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષા રદ્દ થતા તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તેમણે કહ્યું કે હવે વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા માટે તૈયારી કરવી પડશે, જેના કારણે તેઓ માનસિક દબાણ અને નિરાશાનો સામનો કરી રહ્યા છે. દીપિકા શુક્લએ વધુમાં જણાવ્યું કે પેપર લીક જેવી ગંભીર ઘટનાઓ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સાથે જ સરકારે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મજબૂત અને પારદર્શક સિસ્ટમ ઉભી કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે આ સમગ્ર ઘટનાથી દેશના લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ હતાશ થયા છે અને શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઉભા થયા છે.
