સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબનો આપઘાત
મૃતક રેડિયોલોજી વિભાગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો
પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો
સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર દ્વારા હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હોસ્ટેલમાં રહેતા અન્ય ડોક્ટર દ્વારા ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે, ડોક્ટરે ક્યા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
મૂળ બેંગ્લોરના વતની 26 વર્ષીય ડો. લોકેશ એ દેવાંગ હાલમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા રેડિયોલોજી વિભાગના આર-2 તરીકે ફરજ બજાવતા હતા અને નવી સિવિલ કેમ્પસમાં આવેલા બોઇઝ હોસ્ટેલમાં રહેતા હતા. તબીબ લોકેશ દેવાંગે સાંજના સમયે પોતાના રૂમમાં ફાંસો ખાતા સાથી તબીબોએ તાત્કાલિક તેને નીચે ઉતારી સારવાર માટે ટ્રોમા સેન્ટર ખસેડ્યો હતો. જો કે, બે-ત્રણ કલાકની સારવાર બાદ ફરજ પરના તબીબે લોકેશને મૃત જાહેર કર્યો હતો.હાલ તો ડોક્ટર લોકેશના આપઘાત પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી. આ મામલે ખટોદરા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી આપઘાત પાછળું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ડોક્ટર દ્વારા પોતાનું જીવન ટુંકાવી લેવાની ઘટના બાદ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. કામનું ભારણ કે પારિવારિક અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.