સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતના અખંડ સ્વાભિમાનની અભિવ્યક્તિ
સુરત રેલવે સ્ટેશનથી 1300 જેટલા શ્રદ્ધાળુઓ ગીર સોમનાથ રવાના
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સુરત-વેરાવળ સ્પેશ્યલ ટ્રેનને ફલેગઓફ
સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતના અખંડ સ્વાભિમાનની અભિવ્યક્તિ હોય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત રેલવે સ્ટેશનથી સુરત જિલ્લાના 1300 જેટલા શ્રદ્ધાળુઓની સુરત-વેરાવળ સ્પેશ્યલ ટ્રેનને ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે. ત્યારે સુરત રેલ્વે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું ભારત માતા કી જય, હર હર મહાદેવ, ઓમ નમઃશિવાયના નાદ સાથે સુરત જિલ્લાના 1300 જેટલા વડીલો, યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેનને રવાના કરાઈ હતી. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતના સ્વાભિમાન, ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક પુર્નઉત્થાનનો સશક્ત અભિવ્યક્તિરૂપ કાર્યક્રમ છે. જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ પધારી રહ્યા છે. 72 કલાકના સામુહિક ઓમકાર નાદ સાથે શિવમંદિરો ગુંજી રહ્યા છે. ઋષિકુમારોના શંખનાદ અને સંતોના સાન્નિધ્યમાં ઓમ નમઃશિવાયના જાપ સોમનાથ મંદિરમાં થઈ રહ્યા છે એમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ સૌ યાત્રાળુઓને શુભકામનાઓ પાઠવી હતી.
સુરત-વેરાવળ સ્પેશ્યલ ટ્રેનને ફલેગઓફ વેળાએ મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, અગ્રણી ઝંખનાબેન પટેલ, વી.ડી.ઝાલાવાડીયા, અનિલકુમાર શુકલા તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ પર ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના 75 વર્ષનો સુભગ સમન્વય સધાયો છે ત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તા.08, 09 અને તા.10 દરમિયાન ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શોર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.10 અને 11 જાન્યુ. દરમિયાન સોમનાથ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થશે.
