સુરતના મોટા વરાછા વિસ્તારમાં રકાયદે બાંધકામ
પુનિત ધામ સોસાયટીની માર્જિન અને સીઓપી માં મંજૂરી વિના બાંધકામ
બાંધકામનો વિરોધ નોંધાવતા સરથાણા ઝોન કચેરી ખાતે ધરણા-પ્રદર્શન કર્યું
સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુનિત ધામ સોસાયટીના રહેવાસીઓએ સોસાયટીની માર્જિન અને સીઓપી વિસ્તારમાં મંજૂરી વિના થઈ રહેલા કથિત બાંધકામનો વિરોધ નોંધાવતા સરથાણા ઝોન કચેરી ખાતે ધરણા-પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિકોનો આક્ષેપ છે કે તેઓએ અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી હોવા છતાં સુરત મહાનગરપાલિકાના સરથાણા ઝોનના અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે મોટી સંખ્યામાં રહેવાસીઓ બેનરો સાથે ઝોન કચેરીએ પહોંચ્યા અને જવાબદારો સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો.પ્રદર્શનકારીઓનું કહેવું છે કે અગાઉ મનપા દ્વારા સીલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ હાલ તે સીલ હટાવી દેવામાં આવ્યા છે અને કથિત ગેરકાયદે બાંધકામ ફરીથી શરૂ થઈ ગયું છે.
આ અંગે મેયર, કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદ, કમિશનર અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો સ્થાનિકોએ કર્યો છે.સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ગેરકાયદે બાંધકામ સામે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન, ભૂખ હડતાળ તેમજ આગામી વિધાનસભા ચૂંટણીના બહિષ્કાર જેવા કાર્યક્રમો હાથ ધરશે
