તાપીના કુકરમુંડામાં આદિવાસી યુવક સાથે પોલીસનો અમાનવીય વલણ
ગામમાં રોષની લાગણી, ન્યાયની માંગ ઉઠી
આદીવાસી સમાજે રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું
તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારમાંથી આદિવાસી સમાજ માટે ખળભળાવનારી ઘટના સામે આવી છે. જેમાં પોલીસ કર્મી દ્વારા આદીવાસી યુવાનને નગ્ન કરીને માર માર્યો હતો.
મળતી માહિતી મુજબ, ૨૧મી જૂનના રોજ રાત્રે આશરે ૮:૩૦ કલાકે એક આદિવાસી યુવકને પોલીસ દ્વારા કોઈ ગુનાહિત પુરાવા વિના નગ્ન કરીને ગાડી પર બેસાડી લઈને માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં આક્રોશ છવાઈ ગયો છે અને આદિવાસી સમાજ દ્વારા કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરવામાં આવી છે.આ ઘટનાને લઈને સ્થાનિક સમાજના આગેવાનો, અગ્રણી લોકો તથા પીડિત પરિવારજનોએ કુકરમુંડા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.આવેદનપત્ર મુજબ આ ઘટના માત્ર વ્યક્તિગત નથી પણ સમગ્ર આદિવાસી સમાજના માન-સન્માનને આંચ પહોંચાડે તેવી છે.આદિવાસી આગેવાનો દ્વારા મૂકાયેલ માંગણીઓ:દોષિત પોલીસ કર્મીઓ સામે SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ તથા IPC કલમો ૩૩૦, ૩૪૧ અને ૩૪૨ હેઠળ તાત્કાલિક ગુનો દાખલ કરવો. દોષી પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના પ્રયાસો કરવામાં આવે.પીડિત પરિવારને તાત્કાલિક ન્યાય અને યોગ્ય વળતર આપવામાં આવે.આદિવાસી સમાજના અધિકારો અને સન્માન જળવાઈ રહે તે માટે કાયદેસર પગલાં લેવાય.આ મામલે સમાજના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ૧૦ દિવસની અંદર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને તેની સમગ્ર જવાબદારી પ્રશાસનની રહેશે.આ બાબતે મામલતદાર કચેરીએ લેખિત અરજી સ્વીકારી છે અને આગળની કાર્યવાહી માટે તંત્રને અવગત કરાવવામા આવ્યુંછે.કુકરમુંડામાં પોલીસે આમ જનતાને સુરક્ષા આપવા બદલે, આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે તેવા આરોપો પણ સ્થાનિકોમાંથી ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે તાપી જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દોષિતો સામે શું પગલાં ભરે છે અને શું આદિવાસી સમાજને ન્યાય મળશે ? સાથેજ પોલીસ કર્મી પર કડક કાર્યવાહી કરી દાખલો બેસાડશે ? શું ન્યાયદંડ સમાન છે પોલીસ કર્મી ઓ માટે અને આમ જનતા માટે ?….