સુરતમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું
પોલીસને તમામ લોકો સામે સમાન નિયમો લાગુ કરવા જોઈએ : કોંગ્રેસ સમિતિ
સુરત જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સુરત પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પોલીસ દ્વારા ભાજપ પક્ષના લોકો માટેના નિયમો અને અન્ય લોકો માટેના નિયમો અલગ હોય તે રીતની કામગીરી કરાતી હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ બાદ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ આરોપનામું દાખલ કરી દીધું છે, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું પણ આરોપી તરીકે નામ છે. ત્યારે ૨ દિવસ પહેલા ભાજપ દ્વારા સુરતમાં કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે આજે સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ આવેદનમાં જણાવ્યું હતું કે , પોલીસને તમામ લોકો સામે સમાન નિયમો લાગુ કરવા જોઈએ. કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ દ્વારા જે પુતળાદહન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તે અંગે કોઈ પણ જાતની મંજુરી લેવામાં આવી ના હતી અને પુતળા દહન વખતે તેમને રોકવાની જગ્યાએ સુરતની પોલીસે તેમને પ્રોટેકશન પૂરું પાડ્યું હતું આ જ વસ્તુ જો કોંગ્રેસ પાર્ટીએ કરી હોય તો તેમને રોડ ઉપર ઉભા રહેવા દેવામાં આવતા નથી અને કોંગ્રેસી કાર્યકરો સામે અટકાયતી પગલા પણ લેવામાં આવે છે ત્યારે પોલીસની આવી બેવડી નીતિ સામે જીલ્લા કોંગ્રેસ સમિતિ સખ્ત વિરોધ કરે છે.