અઠવાગેટ ખાતે કાર-બસ અકસ્માત બાદ ભારે હંગામો
કાર ચાલક નશાની હાલતમાં હોવાના સ્થાનિકોના આક્ષેપ
કારમાંથી દારૂની બોટલ, ગ્લાસ અને પોલીસ વર્દી મળ્યાનો દાવો
સુરતના અઠવાગેટ પાસે નશામાં કાર ચલાવી અસ્માતને પોલીસ કર્મચારીએ અંજામ આપ્યો હોવાના આક્ષેપો કરાયા કરાતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના અઠવાગેટ સ્થિત મૈસુર કાફે નજીક એક કાર બસ સાથે અથડાતા હંગામો મચી ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ચલાવનાર વ્યક્તિ નશાની હાલતમાં હતો. તો ઘટના બાદ કારની તપાસ દરમિયાન દારૂની બોટલ, ગ્લાસ, પોલીસની વર્દી અને બેલ્ટ મળી આવ્યા હોવાનો દાવો કરાયો હતો. ઉપરાંત કારમાંથી અજય એચ. પટેલ નામની નેમ પ્લેટ અને બક્કલ નંબર પણ મળી આવ્યો હતો. તો અકસ્માત બાદ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જો પોલીસ અધિકારીઓ જ નશાની હાલતમાં વાહન ચલાવતા હોય તો તે ગંભીર બાબત છે. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બસ સાથે થયેલા અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
