ગુજરાત અને મહારાષ્ટ્રમાં ધોધમાર
મુંબઈ તરફનો રેલ વ્યવહાર ખોરવાયો
વીજપોલ ધરાશાયી થતા અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે મુંબઈ તરફનો રેલ વ્યવહાર ખોરવાયો છે. તો સૌરાષ્ટ્રની નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વીજપોલ ધરાશાયી થતા અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. મુંબઈ તરફ જતો રેલ વ્યવહાર લગભગ ઠપ થઈ ગયો છે. પાલઘર નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં કર્ણાવતી એક્સપ્રેસ અને જોધપુર-બાંદ્રા એક્સપ્રેસ સહિતની મહત્વની ટ્રેનોને વલસાડ અને વાપીથી જ પરત અમદાવાદ તરફ રવાના કરવામાં આવી છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર, ગુજરાતના ત્રણ જિલ્લાઓ તેમજ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ધાતરવડી નદીમાં આવેલા પૂરના કારણે વડ ગામનો સુરક્ષા પાળો તૂટી ગયો છે. જેના કારણે ગામના અનેક ઘરોને નુકસાન થવાની અને ધરાશાયી થવાની ભીતિ સર્જાઈ છે. સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
