સુરત મહાનગર પાલિકાના સફાઈ કામદારો દ્વારા ધરણા
વર્ગ 4 ના કર્મચારીઓ અને સફાઈ કામદારો દ્વારા વિવિધ માંગણીઓ
સાત દિવસમાં ઉકેલ નહીં આવતા હવે ધરણાનું પગલું
સુરત મહાનગર પાલિકાના વર્ગ 4 ના કર્મચારીઓ અને સફાઈ કામદારો દ્વારા વિવિધ માંગણીઓને લઈને ધરણાનું એલાન કરવામાં આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકાના વર્ગ-4 કર્મચારીઓનો વિરોધ હવે ધરણા સુધી પહોંચ્યો હોય તેમ સફાઈ કામદારો, બેલદારો, પટાવાળા સહિતના વર્ગ-4 કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગ કરવામાં આવી છે. ધરણા અંગે કામદાર યુનિયનોએ કહ્યુ હતુ કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિધિબેન સિવાચ દ્વારા કર્મચારીઓની રજૂઆતોની અવગણના કરવામાં આવી રહી છે અને યુનિયનના આગેવાનોને મળવાનો પણ ઈન્કાર કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે 21 જુલાઈએ મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર અને લાલગેટ પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. સાત દિવસમાં ઉકેલ નહીં આવતા હવે ધરણાનું પગલું ભરવામાં આવ્યું હોવાનો યુનિયનોનો દાવો છે. આજે 14 ઓગસ્ટે સવારે 10 વાગ્યે સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીના તાપીભવન પાર્કિંગ એરિયામાં શાંતિપૂર્ણ ધરણાનું આયોજન કરાયુ હતું. તો યુનિયનોએ જણાવ્યુ હતું કે કે વિરોધ કાયદાની મર્યાદામાં રહેશે અને તેમની માંગ માત્ર સન્માન, ન્યાય અને સંવાદની છે.
