ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે લાફાકાંડ
ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં નવો વળાંક આવ્યો
નર્મદા પોલીસે માગેલા 5 દિવસના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા
વસાવાની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી
ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે લાફાકાંડ મામલે ધરપકડ કરાયેલા આપ ના નેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. નર્મદા પોલીસે માગેલા 5 દિવસના રિમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા છે. જ્યારે વસાવાની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે.
ચૈતર વસાવાના વકીલ સુરેશભાઈ જોશીએ જણાવ્યું, “પોલીસે 5 દિવસના રિમાન્ડની અરજી કરી હતી. જેની સામે અમે દલીલ હતી આ કેસમાં રિમાન્ડની જરૂર નથી. આ એક આ રાજકીય કિન્નાખોરી રાખીને કરવામાં આવેલી અરજી છે. દલીલને કોર્ટે માન્ય રાખીને પોલીસની 05 દિવસની રિમાન્ડ અરજી ફગાવી દીધી છે.ત્યારબાદ અમારા તરફથી જામીન અરજી કરવામાં આવી હતી. પોલીસે FIRમાં જાણી જોઈને કલમ 307 ઉપરાંત નવી કલમ 109 લગાડી છે જેમાં 10 વર્ષની કેદની સજા છે. એ કલમ પણ અમે રદ્દ કરાવી છે. હવે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવશે અને અમારે સેશન્સ કોર્ટમાંથી જામીન લેવાના છે. બીજી બાજુ કોર્ટ બહાર પોલીસ સાથે ઘર્ષણ થતા તેમજ વકીલોએ કોર્ટમાં અંદર જવા મુદ્દે હોબાળો કરતા ડેડીયાપાડાના SDM અને DYSPએ ડેડીયાપાડામાં 144 લાગુ કર્યાની જાહેરાત કરી છે. પરિસ્થિતિને જોતા ચૈતર વસાવાને રાજપીપળા જેલમાંથી વડોદરા જેલમાં લઈ જવામાં આવ્યાં છે.
કોર્ટ બહાર ગોપાલ ઈટાલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોલીસે 14 મુદ્દાઓને આધારે 5 દિવસના રિમાન્ડની અરજી મુકી હતી. આ અરજી મેં વાંચી છે. અરજીમાં ફરિયાદીએ જે પ્રમાણે લખાવ્યું છે મુજબની આખી ઘટના બની જ નથી. બેઠકમાં સામાન્ય ચર્ચા થાય છે, જેમાં બોલાચાલી થાય છે. ફરિયાદીના કહેવા પ્રમાણે ગાળાગાળી થાય છે. ફરિયાદીના કહેવા પ્રમાણે પ્રાંત અધિકારીના ટેબલ પર પાણીનો ગ્લાસ પડ્યો હતો તે ગ્લાસ લઈને છૂટ્ટો ફેંકીને ફરિયાદીને માર્યો.
ફરિયાદીએ FIRમાં લખાયેલ પ્રમાણે ગ્લાસ છૂટ્ટો ફેક્યો ત્યારે ફરિયાદી જે હતા તેના માથા પર પોલીસે આડો હાથ રાખી દીધો એટલે ફરિયાદીને ગ્લાસ વાગ્યો નથી. હવે આ ઘટનાને સાચી માની લઈએ તો જાનથી મારી નાખવાની ધમકી ક્યાંથી આવે ? છૂટ્ટો ગ્લાસ માર્યો પણ કોઈને લાગ્યો જ નથી તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં હતી ?…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
