કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક અખબારમાં લેખ લખીને મોદી સરકાર ઉપર નિશાન તાકતા આરોપ લગાવ્યો કે સરકાર સંસ્થાઓને બરબાદ કરી રહી છે.
આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતિ પર યાદ કરતા UPA અધ્યક્ષ સોનિયા ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે આજે સરકાર એક અભિયાન હેઠળ બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ અને નાશ કરવા સાથે ન્યાયપાલિકા ઉપર દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે.
તા.14 એપ્રિલના રોજ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર ધ ટેલિગ્રાફમાં એક લેખમાં સોનિયા ગાંધીએ કહ્યું, આજે જ્યારે આપણે બાબાસાહેબના વારસાનું સન્માન કરીએ છીએ, ત્યારે આપણે તેમની દૂરંદેશી ચેતવણીને યાદ રાખવી જોઈએ કે બંધારણની સફળતા એ લોકોના આચરણ પર નિર્ભર છે જેઓને શાસન કરવાનું કર્તવ્ય સોંપવામા આવ્યું છે. આજે સરકાર બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી છે અને તેનો નાશ કરી રહી છે. સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને ન્યાયના પાયાને કમજોર કરવામાં આવી રહ્યો છે.
તેમણે આગળ લખ્યું કે લોકોના અધિકારોનું રક્ષણ કરવાને બદલે તેમને હેરાન કરવા માટે કાયદાના દુરુપયોગથી સ્વતંત્રતા સામે ખતરો ઉભો થયો છે. દરેક ક્ષેત્રમાં પસંદ કરેલા મિત્રો સાથે પક્ષપાતી વર્તન દ્વારા સમાનતા ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે.
ઈતિહાસના આ તબક્કે આપણે બંધારણ ઉપર થતા સુનિયોજિત હુમલાથી બચાવવા માટે કામ કરવું જોઈએ, તમામ ભારતીયોએ આમાં પોતાની ભૂમિકા ભજવવી જોઈએ. ભલે તેઓ કોઈપણ રાજકીય પક્ષ, સંગઠન અથવા કોઈપણ સમુદાય સાથે સંબંધ ધરાવતા હોય. ડો. આંબેડકરના જીવન અને સંઘર્ષે આપણને આ બાબતે મહત્વના પાઠ બતાવ્યા હતા.
કોંગ્રેસ નેતાએ વધુમાં લખ્યું, “આજે અસલી ‘રાષ્ટ્રવિરોધી’ તો એ લોકો છે જેઓ એ ધર્મ, જાતિ અને લિંગના આધારે ભારતીયોને એકબીજાની વિરુદ્ધ વિભાજીત કરવા માટે તેમની શક્તિનો દુરુપયોગ કરી રહ્યા છે.”
સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવાના પડકારોએ એક નવું પરિમાણ લીધું છે. 1991માં કોંગ્રેસ સરકાર દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાથી સમૃદ્ધિમાં વધારો થયો છે, પરંતુ હવે આપણે વધતી આર્થિક અસમાનતાના સાક્ષી છીએ. અર્થતંત્રમાં ગેરવહીવટ વધી રહ્યો છે. જાહેર ક્ષેત્રના એકમોનું આડેધડ ખાનગીકરણ પણ આરક્ષણમાં ઘટાડો કરી રહ્યું છે.
રિપોર્ટ :- કૌશિકની કલમ