સુરતની પી.પી. સવાણી ગ્રુપની જાહેરાત
આતંકી હુમલા મુદ્દે ઉદ્યોગપતિ મહેશ સવાણીએ શોક વ્યક્ત કર્યો
આતંકી હુમલાના મૃતકોના પરિવારની વ્હારે આવ્યું સવાણી ગ્રુપ
હુમલામાં મૃતકોના બાળકોના શિક્ષણની જવાબદારી ઉઠાવશે
પહલગામમાં થયેલ આંતકી હુમલાના મૃતક પરિવારોના બાળકોના શિક્ષણની જવાબદારી સુરતનું પી.પી. સવાણી ગ્રુપ ઉઠાવશે. પી. પી. સવાણી પરિવારના મહેશભાઇ સવાણીએ સુરતના શેલેશભાઈ કળથીયાના મોતને પગલે પરિવારની મુલાકાત લીધી હતી અને સંવેદના વ્યક્ત કરી હતી.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા અને 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ સમયે પી. પી. સવાણી પરિવાર આ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને આ ભારે દુઃખની ઘડીમાં તેમની સાથે ઉભી છે. પી. પી. સવાણી પરિવારના મહેશભાઇ સવાણીએ જાહેર કર્યું છે કે ઘરના મોભી ગુમાવી ચૂકેલા પરિવારની સાથે પી.પી. સવાણી પરિવાર ખભે ખભા મિલાવીને ઊભો છે. પહલગામના આતંકવાદી હુમલામાં ભોગ બનેલા પરિવારના બાળકોના શિક્ષણની તમામ જવાબદારી અમે ઉઠાવીશું. આ પરિવારનું બાળક જ્યાં શિક્ષણ મેળવતું હશે અને જે બાળકને પી.પી. સવાણી શાળામાં કે એની યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવું હશે તો અમે એની તમામ રહેવા, જમવાની તથા શિક્ષણ સહીતની વ્યવસ્થા પણ આ પી.પી.સવાણી ગ્રુપ ઉપાડશે.