NH-51 પર અંડરપાસની માંગ સાથે આંદોલન ઉગ્ર
આપ નેતા ગોપાલ ઈટાલિયાની આગેવાનીમાં યોજાઈ મહાસભા
નેશનલ હાઈવે 51 પરથી પસાર થતાં ઉમણીયાવદર અને તેની આસપાસના આશરે 20 જેટલા ગામોને જોડતા મુખ્ય માર્ગ પર ગરનાળું (અંડરપાસ) અથવા ઝીબ્રા ક્રોસિંગ બનાવવાની માંગણીએ હવે ભારે હિંસક અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. લાંબા સમયથી તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાઈવે પરથી સતત ઝડપભેર પસાર થતા વાહનોના કારણે આસપાસના 20 ગામોના લોકો માટે રસ્તો ઓળંગવો એ અત્યંત જોખમી બની ગયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, અંડરપાસના અભાવે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને લોકો પોતાના જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા આ ગંભીર બાબતને સતત અણદેખી કરવામાં આવી રહી હતી. આ આંદોલનને વધુ મજબૂત સમર્થન આપવા માટે આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા અને યુવા નેતા બ્રિજરાજ સોલંકી ખાસ ઉમણીયાવદર ગામે પહોંચ્યા હતા. આ તકે ગામમાં એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો અને આસપાસના વિસ્તારોના લોકો જોડાયા હતા. મહાસભાને સંબોધતા આપ નેતાઓએ ગ્રામજનોની માંગને સંપૂર્ણપણે વ્યાજબી ગણાવી હતી. ગોપાલ ઈટાલિયાએ તંત્રની નિષ્ક્રિયતા સામે કડક વલણ અપનાવતા ચીમકી આપી હતી કે જો સામાન્ય નાગરિકોના સુરક્ષિત આવાગમન માટે તાત્કાલિક ધોરણે અંડરપાસ કે ઝીબ્રા ક્રોસિંગની મંજૂરી આપવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આ લડાઈને વધુ આક્રમક બનાવવામાં આવશે. તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનો કાયમી અને સંતોષકારક ઉકેલ લાવવામાં આવે તેવી તમામ 20 ગામોના લોકો એકસૂરે માંગ કરી રહ્યા છે.
