ભવનાથમાં 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો
પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરીયાની અધ્યક્ષતામાં બેઠક
રવેડીનો રૂટ 1.5 કિ.મીથી વધારીને 2 કિ.મી કરાયો,
ગિરનારની ગોદમાં યોજાતો વિશ્વ પ્રસિદ્ધ મહા શિવરાત્રી મેળો આ વર્ષે નવી ઊંચાઈઓ સર કરવા જઈ રહ્યો છે. તાજેતરમાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર વચ્ચે મળેલી બેઠકમાં મેળાના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ વર્ષે મેળો માત્ર ભક્તિ જ નહીં, પણ ભવ્ય આયોજનનું પ્રતીક બનશે. ત્યારે ભવનાથમાં 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે
આગામી 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા મેળામાં શ્રદ્ધાળુઓ માટે અનેક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે, 11 ફેબ્રુઆરીએ સાધુ-સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે ખાસ નગરયાત્રાનું આયોજન કરાયું છે. શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને રવેડીનો રૂટ 1.5 કિ.મીથી વધારીને 2 કિ.મી કરાયો, જેથી મહત્તમ લોકો નાગા સાધુઓના દર્શન કરી શકે. ટુરિઝમ વિભાગ દ્વારા આખા રૂટને ભગવાન શિવની થીમ પર શણગારાશે અને સેલ્ફી પોઇન્ટ્સ પણ ઊભા કરાશે. જે ભક્તો રૂબરૂ નથી આવી શકતા, તેમના માટે શાહી સ્નાનનું લાઇવ પ્રસારણ કરાશે. અને સાથે લાખોની મેદનીને પહોંચી વળવા માટે સરકારે સુરક્ષા વ્યવસ્થામાં મોટો વધારો કર્યો છે.
મહા શિવરાત્રી મેળાના આયોજનની બેઠક દરમિયાન મહાશિવરાત્રી મેળાના વિશેષ ગીતનું પણ લોન્ચિંગ કરાયું હતું. આ ગીત ભક્તોમાં મેળાનો ઉત્સાહ વધારવાનું કામ કરશે. મેળા દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા રાજકોટ અને સોમનાથ હાઇવે પર ખાસ પાર્કિંગ ઝોન બનાવાશે. ત્યાંથી ભવનાથ સુધી જવા માટે શટલ બસની સુવિધા ઉપલબ્ધ રહેશે. રેલવે અને એસ.ટી. નિગમ દ્વારા પણ શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા વધારાની સ્પેશિયલ ટ્રેનો અને બસો દોડાવવાનું આયોજન કરાયું છે, જેની સત્તાવાર જાહેરાત અને સમય પત્રક ટૂંક સમયમાં વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
