સુરતના તડકેશ્વરના અરેઠ ગામે લોકાર્પણ પહેલા ટાંકી ધરાશાઈ
11 લાખ લિટરની પાણીની ટાંકીમાં 9 લાખ લિટર ભરાતા જ ધરાશાઈ
21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર
સુરતના તડકેશ્વરના અરેઠ ગામે 11 લાખ લિટરની પાણીની ટાંકીમાં 9 લાખ લિટર પાણી ભરાતા ધરાશાઈ થઈ ગઈ હતી.
સુરતના તડકેશ્વર ગામે લાખોના ખર્ચે બનેલી નવી નક્કોર પાણીની ટાંકી ધરાશાઈ થઈ હતી. 11 લાખ લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીમાં 9 લાખ લિટર પાણી ટેસ્ટીંગ માટે ભરાતા જ ટાંકી ધરાશાઈ થતા ત્રણ જેટલા મજુરો ઈજાગ્રસ્ત થયા હતાં. તો પાણીની ટાંકી ધરાશાઈ થતા 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપો કરાયા હતાં
સ્થળ પર કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં ટાંકીના સ્ટ્રક્ચરની હલકી ગુણવત્તા છતી થઈ છે. ટાંકીના કાટમાળમાંથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે, જે કામમાં થયેલા મોટા પાયે ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે લોખંડ અને સિમેન્ટના વપરાશમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ગેરરીતિ આચરવામાં આવી છે. મોડે મોડે ઘટના સ્થળે પહોંચેલા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર જય ચૌધરીએ જણાવ્યું હતું કે, “ટાંકી અત્યારે ટ્રાયલ હેઠળ હતી. સમગ્ર મામલે SVNIT (સુરત) ના એન્જિનિયરોની ટીમ દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.”
