સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પર મોડી રાત્રે આગની ઘટના
પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવેલી પતરાની કેબિનના સ્ટોરરૂમમાં અચાનક આગ
સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી
સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પર મોડી રાત્રે આગની ઘટના બની હતી. પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવેલી પતરાની કેબિનના સ્ટોરરૂમમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવેલી પતરાની કેબિનના સ્ટોરરૂમમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં સ્ટોરરૂમમાં રાખવામાં આવેલા મહત્વના દસ્તાવેજો, પંખા તેમજ અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. તો આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ રજુ કરાયુ હતું.
