સુરત લિંબાયત ઝોનના કાર્યપાલક અને વચેટીયાની એસીબી ટ્રેપ
એસીબીની કાર્યવાહી બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ
તમામ મિલકતોની નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ
સુરત લિંબાયત ઝોનના કાર્યપાલક અને તેમના વચેટીયા પર 15 લાખની લાંચનો આરોપ લાગ્યો હોય જેને લઈ એસીબીની કાર્યવાહી બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયુ હતું.
સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા અને તેમનો વચેટીયો પરવાના 15 લાખની લાંચ કાંડમાં સંડોવાયા છે. જો કે બન્ને હાલ એસીબીના હાથે આવ્યા નથી પરંતુ તેઓ સામે એસીબીએ ફરિયાદ નોંધી છે. લિંબાયત ઝોનમાં ક્લાસ વન અધિકારી એવા કાર્યપાલક ઈજનેર જ લાંચ કાંડમાં ભેરવાતા વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે સુરત કોંગ્રેસ દ્વારા કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા સામે દેખાવો કરાયા હતાં. લિંબાયત ઝોન કચેરીએ કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા સહિત કાર્યકરો ઉમટી પડ્યા હતા અને સુત્રોચ્ચાર સાથે લિંબાયત ઝોન કચેરી બહાર રૂપિયા ઉડાવી વિરોધ કર્યો હતો. હાલ તો કોંગ્રેસ દ્વારા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ સાથે અધિકારીની આવકની સામે તેની તમામ મિલકતોની નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ છે. સાથે ભ્રષ્ટાચારથી ભેગી કરેલી મિલ્કત સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.
