રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનો વિજ્ઞાન જાથાનો વિરોધ.
રાજ્યભરમાં 3 દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ સૂત્રોચાર કરવા અપીલ
આગામી 4 અને 5 જૂને ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે
રાજકોટમાં આગામી 4 અને 5 જૂને યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો ભારત જન વિજ્ઞાન જાથાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ડૉ. જયંત પંડ્યાએ ચમત્કારોને બોગસ ગણાવી આ આયોજનને લોકમુગ્ધતા ફેલાવતું ગણાવ્યું છે. જાથાએ કાયદાના ઉલ્લંઘન સામે કાયદેસરની કાર્યવાહીની ચેતવણી આપી છે અને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો કરવા હાકલ કરી છે.
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની આગામી રાજકોટમાં આયોજીત હનુમંત કથા અને દિવ્ય દરબાર યોજાઈ તે પૂર્વે જ વિરોધના સૂર તીવ્ર બન્યા છે. ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા આ દરબાર સામે વિરોધ ઉઠાવ્યો છે. સંસ્થાનું સ્પષ્ટ માનવું છે કે, કથાના નામે યોજાતા આવા દરબારમાં લોકોની આસ્થા સાથે ચેડાં કરવામાં આવે છે. ડૉ. જયંત પંડ્યાએ કર્યું છે કે તેમનો વિરોધ કથા સામે નથી, પરંતુ દિવ્ય દરબારમાં થતા ચમત્કારોના દાવાઓ સામે છે. ડૉ. જયંત પંડ્યાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, દિવ્ય દરબારમાં જે કંઈ પણ ચમત્કારો બતાવવામાં આવે છે તે પાખંડ છે. તેમણે દાવો કર્યો હતો કે ટેકનોલોજી અને પૂર્વ-નિયોજિત રીતે ગોઠવાયેલા લોકો દ્વારા ભોળી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જાથાના મતે આધુનિક યુગમાં સમાજને અંધશ્રદ્ધા નહીં, પરંતુ વૈજ્ઞાનિક અભિગમની જરૂર છે.
વિજ્ઞાન જાથાએ આગામી 4 અને 5 જૂને રાજકોટમાં વિરોધ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ સાથે જ રાજ્યભરમાં ત્રણ દિવસ સુધી ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ સૂત્રોચાર કરવાની અપીલ જાથાના નેજા હેઠળ કરવામાં આવી છે. સંસ્થાએ પોતાના સમર્થકો અને નાગરિકોને મોટી સંખ્યામાં આ વિરોધ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી છે. જાથાએ સીધી ચીમકી ઉચ્ચારી છે કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના દરબાર દરમિયાન કાયદાનો ભંગ કરશે, તો પોલીસમાં ફરિયાદ દાખલ કરશે. ડૉ. પંડ્યાના મતે દેશને બાબાઓ નહીં, વિજ્ઞાન અને ટેકનોલોજીની જરૂર છે. તેમણે આક્ષેપ કર્યો કે આવા આયોજનો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મોંઘવારી, બેરોજગારી અને શિક્ષણ જેવા દેશના વાસ્તવિક અને મૂળભૂત પ્રશ્નો પરથી જનતાનું ધ્યાન ભટકાવવાનો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
