સુરત: સ્મીમેરના ડોકટરોએ સફળતા પુર્વક બીલીમોરાની પ્રસતાને નવું જીવન આપ્યું
ગાયનેક વિભાગના ડોકટરોએ તાત્કાલિક ઓપરેશન કર્યુ
દર્દીનો જીવ બચાવવા ગર્ભાશય કાઢી રકતસ્ત્રાવને બંધ કર્યો
સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વિભાગના ડોકટરોએ સફળતા પુર્વક બીલીમોરાની પ્રસતાને નવું જીવન આપ્યું હતું.
સુરત ની સ્મીમેર હોસ્પિટલ ખાતે બીલીમોરા ખાતે રહેતી 37 વર્ષીય કલ્પના વિરલ ટંડેલને ગત 28મી જુનના રોજ સવારે ખુબ જ ગંભીર હાલતમાં સારવાર માટે લાવવામાં આવી હતી. દર્દીને 27 જુનના રોજ બીજી પ્રસુતિ અને સાત માસના ગર્ભ સાથે મેલી છૂટી પડી જવાના કારણે એન્ટી પાર્ટમ હેમરેજ માટે પ્રાઈવેટ હોસ્પિટલમાં સિઝેરીયન ડીલીવરી પછી ગર્ભાશયમાંથી લોહી બંધ ન થવાના કારણે વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. દર્દીની હાલત ખુબ જ ગંભીર હતી. તેનું બ્લડ પ્રેશર ખુબ જ ઓછું હતું. ગાયનેક વિભાગના ડોકટરોએ તાત્કાલિક ઓપરેશન કર્યુ હતું. દર્દીનો જીવ બચાવવા ગર્ભાશય કાઢી રકતસ્ત્રાવને બંધ કર્યો. ઓપરેશન બાદ દર્દીને 27 કલાક આઈ.સી.યુ.માં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતાં. વેન્ટીલેટર દરમ્યાન આયનોટ્રોપીક દવાઓ અને સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું. દર્દીને કુલ 45 લોહી તથા લોહીના પ્રોડકટ્સ આપવામાં આવ્યા ત્યાર બાદ દર્દીની હાલતમાં સુધારો આવતો ગયો અને 8 જુલાઈના રોજ કલ્પનાબેનને હોસ્પિલમાંથી રજા આપવામાં આવી હતી. આવા ગંભીર હાલતના દર્દીના બચવાની શકયતા ખૂબ ઓછી હોય છે, પરંતુ સ્મીમેર હોસ્પિટલના ગાયનેક, એનેસ્થેસીયા, મેડીસીન વિભાગના ડોકટરો, નસીંગ સ્ટાફ, ઓબ્સ આઈ.સી.યુ. ના તમામ વર્ગ-4ના સ્ટાફની સમયસરની સારવાર અને અથાગ પ્રયત્નોથી દર્દીને નવુ જીવન મળ્યું હતું. જેના માટે તેણીના પરિવારે સ્મીમેર નાં એચ.ઓ.ડી. ડો. અશ્વિન વાછાની ડો. જીતેશ શાહ યુનીટ હેડ અને ડો. ભાવના સોજીત્રા અને હોસ્પિટલની આખી ટીમને ખુબ ખુબ ધન્યવાદ કર્યો અને આભાર વ્યકત કર્યો હતો.
