અરવલ્લી શામળાજી તાલુકામાં યુરિયા ખાતરની અછત
વાંદીયોલ ગામમાં ખેડૂતોની લાંબી લાઇનો લાગી
ઘરકામ છોડી મહિલાઓ પણ ખાતર લેવા લાઇનમાં લાગી
અરવલ્લી શામળાજીમાં તાલુકાના સંઘ વિતરણ કેન્દ્ર ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ ગોડાઉનનું લોક તોડી નાખ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.
અરવલ્લી શામળાજીમાં ખેડૂતો છેલ્લા પંદર દિવસથી યુરિયા ખાતર મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા.ખેડૂતોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે ગોડાઉનમાં યુરિયાનો પૂરતો સ્ટોક હોવા છતાં તેમને ખાતર આપવામાં આવી રહ્યું નથી. વધુમાં, યુરિયા રાજસ્થાન મોકલીને ત્યાં વેચવામાં આવતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. યુરિયા ખાતરની અછત, વિલંબ અને અનિયમિતતાઓને કારણે ખેડૂતોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ પરિસ્થિતિ સંઘની કામગીરી અને વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્નાર્થ ઊભા કરે છે.
આ અંગે સંઘ મેનેજરએ જણાવ્યું હતું કે આજે બે ગાડીઓનું યુરિયા સ્ટોક રિલીઝ કરવામાં આવ્યું છે. તેમણે ખાતરી આપી હતી કે હવે ખેડૂતોને ક્રમબદ્ધ રીતે ખાતર વહેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જોકે, મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ હજુ પણ સ્થળ પર હાજર છે અને ખાતર વહેંચણીની માગ સાથે અડગ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
