સુરતમાં શૈલેષભાઈ કળથિયાનું અંતિમયાત્રા નિકળી
અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
શૈલેષ કળથિયાની અંતિમ યાત્રામાં સી.આર પાટીલ અને હર્ષ સંઘવી જોડાયા
શૈલેષભાઈની પત્નીએ સરકાર સામે ઉઠાવ્યા સવાલ
‘તમારો જીવ એ જીવ, આ ટૅક્સ ભરનારનો જીવ નથી’ : શિતલબેન
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઈ કળથિયાનું મોત થયું હતું આજે ગુરુવારે તેમની અંતિમયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રામાં પરિવારને સાંત્વના આપવા કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલ પણ પહોંચ્યા હતા.
મંગળવારે 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા હતાં. તેમાં એક સુરતના શૈલેષભાઈ કળથિયા પણ હતા. તેઓ પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા. આજે ગુરુવારે તેમની અંતિમયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રામાં પરિવારને સાંત્વના આપવા કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલ પણ પહોંચ્યા હતા. ત્યારે પોતાની સામે પતિનો જીવ જતાં જોનાર પત્ની શિતલબેને કેન્દ્રિય મંત્રી સામે આક્રોશ ઠાલવ્યો હતો. સરકારની VIP વ્યવસ્થાથી લઇને ટેક્સ પે કરનાર સામાન્ય જનતાની કપરી પરિસ્થિતિ તેમને કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલ સામે વર્ણવી હતી. મૃતક શૈલેષ કળથિયાની પત્ની શિતલબેને પોતાની વ્યથા ઠાલવતા પાટીલને કહ્યું કે, ત્યાં કોઈ સુવિધા નહિ, કોઈ આર્મી નહિ, કો કોઈ પોલીસ નહિ. જ્યારે મોટા-મોટા નેતા આવે કે VIP આવે ત્યારે પાછળ કેટલી ગાડીઓ, ઉપર હેલિકોપ્ટર કોનાથી ચાલે છે? ટેક્સ પે કરે છે તેના પરથી જ ચાલે છે ને? VIP માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી? હું નીચે આર્મી કેમ્પમાં બુમો પાડી-પાડીને કહેતી હતી કે, ઉપર કેટલા લોકો ઈજાગ્રસ્ત છે, તમે લોકો જલ્દી જાઓ અને કંઈક કરો. અમે ઉપરથી પડતા-આખડતા નીચે ઉતર્યા તો પણ ઉપર કોઈ ફેસેલિટી નહોતી પહોંચી. ઉપર આટલું બધુ થઈ ગયુ હતું અને નીચે આર્મીને કેમ ખબર ન પડી કે આવું થઈ ગયું છે? આંતકવાદીઓ અમારી સામે આવીને ગોળી મારી જાય છે. હિન્દુ-મુસ્લીમોને અલગ કરીને હિન્દુઓના બધા ભાઈઓને ગોળી મારે છે તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યમાં આર્મી હતી ત્યાં અને જ્યા ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મીમેન, પોલીસમેન કે કોઈ ફસ્ટેર્ડ કિટ નહિ. કંઈ જ સુવિધા નહિ. તેમાંથી પણ એક આર્મીમેન કહે છે કે, તમે લોકો ઉપર ફરવા જ શું કામ જાઓ છો?