સુરતમાં ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ મોરચો
300થી વધુ કામદારોએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા
સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યું
સુરતમાં ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ 300થી વધુ કામદારોએ જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો હતો. અને વિવિધ 20 પડતર માંગણીઓને લઈને કામદારોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યું હતું.
સુરત કલેકટરાલયે ભારતીય મજદૂર સંઘના નેજા હેઠલ 300થી વધુ કામદારો પહોંચ્યા હતા અને સુરત કલેકટરને આવેદન પત્ર આપી જણાવ્યુ હતું કે પગાર વધારવા, પેન્શન યોજના ફરી શરૂ કરવા, કાયમી ભરતી કરવા અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને ભારતીય મજદૂર સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કામદારોએ કેન્દ્ર સરકારના લેબર કોડ કાયદાનો પણ વિરોધ કર્યો હતો. કામદારોનો આક્ષેપ છે કે વધુ કામ કરાવવામાં આવે છે, પરંતુ તેની સામે યોગ્ય મહેનતાણું આપવામાં આવતું નથી.
કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કામદારો એકત્ર થઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. આગામી દિવસોમાં માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ભારતીય મજદૂર સંઘે ચીમકી આપી છે.
