પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા ફૂડ વિભાગ એક્શનમાં
સુરત મહાનગરપાલિકામાં ફરાળી વસ્તુઓની તપાસ
લેબોરેટરી રિપોર્ટમાં જો સેમ્પલ ફેલ થશે તો કાર્યવાહી
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન ફરાળી વસ્તુઓની માંગ વધતી હોય છે, ત્યારે ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાની ફરાળી વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે પાલિકાએ તપાસ શરૂ કરી છે.
સુરતના વિવિધ ઝોનમાં પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવા માટે ટીમો દ્વારા ફરાળી વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ફરાળના વિવિધ સેમ્પલ કલેક્ટ કરી તેને તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કરતા લોકોની સંખ્યા વધતી હોવાથી ફરાળી વસ્તુઓની ખરીદીમાં પણ વધારો થાય છે.
ભેળસેળયુક્ત કે હલકી ગુણવત્તાની વસ્તુઓના વેચાણ પર રોક લગાવવા પાલિકાના ફૂડ વિભાગે તપાસ તેજ કરી છે. લેબોરેટરી રિપોર્ટમાં જો સેમ્પલ ફેલ થશે અથવા ભેળસેળ સાબિત થશે તો સંબંધિત સંસ્થાઓ સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
