આંબેડકર જયંતીના દિવસે મહેશ વસાવાએ ભાજપનો સાથ છોડ્યો
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને પત્ર લખી રાજીનામું સોપ્યું,
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું આ એક ઉતાવળીયું પગલુ
દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેઓએ વિચારધારા ન મળતી હોવાનું તેમજ ગુજરાતનું રાજકારણ બદલવા આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું
આંબેડકર જયંતીના દિવસે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખીને દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું સોંપ્યું છે. તેઓએ વિચારધારા ન મળતી હોવાનું તેમજ ગુજરાતનું રાજકારણ બદલવા આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ મહેશ વસાવાના રાજીનામાં પર ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ મનસુખ વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ જણાવ્યું કે, ભાજપને ખતમ કરવાના તેઓએ જે આક્ષેપ કર્યાં છે ત્યારે તેઓને મારી સલાહ છે કે, ભાજપ અને આરએસએસની વિચાર ધારાને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી. હાલમાં ભાજપની વિચારધારા દિવસેને દિવસે મજબૂત થતી જાય છે. તેમનું આ એક ઉતાવળિયું પગલું છે.
મહેશ વસાવા, છોટુ વસાવાના પુત્ર છે, જેમણે લાંબા સમયથી ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાજકીય વર્ચસ્વ જાળવી રાખ્યું છે. મહેશ વસાવાએ રાજીનામાનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, જ્યાં વિચારધારા ન મળતી હોય ત્યાં કામ કરવાનો કોઈ અર્થ નથી. તેમણે ઉમેર્યું કે, ગુજરાતનું રાજકારણ બદલવા માટે આ નિર્ણય લીધો છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની અને છોટુભાઈની પાર્ટી એક જ છે. મહેશ વસાવા માત્ર એક વર્ષ પહેલાં જ 11 માર્ચ 2024ના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા. તે સમયે તેમના પિતા અને ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. છોટુ વસાવાએ તેમના પુત્રને નાદાન ગણાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, ભાજપે તેમને ગેરમાર્ગે દોર્યા છે……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી