સુરતમાં તાંત્રિક વિધિના બહાને દાગીના પડાવતી ટોળકી
રાજકોટના બે ઠગ આરોપીઓની ધરપકડ કરી
તાંત્રિક કાળુનાથ નકુમ અને દેવાયત નાથબાવા રાઠોડ ઝડપાયા
સુરતમાં તાંત્રિક વિધિના બહાને સોનાના દાગીના પડાવતી ટોળકીનો લસકાણા પોલીસે ભેદ ઉકેલી કાઢી રાજકોટના બે ઠગ આરોપીઓની ધરપકડ કરી ત્રણ ગુનાના પર્દાફાશ કર્યા હતાં.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એમબી ઝાલાની ટીમ પીએસઆઈ એનઆર પટેલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો જયસુખભાઈ, વિરેન્દ્રસિંહ અને અપોકો મહેન્દ્રસિંહને એવી બાતમી મળી હતી કે તાંત્રિક વિધીના બહારને રાજકોટથી સુરત આવી આરોપીઓ કાઠીયાવાડી પરિવારોને નિશાન બનાવતા હતા. તેઓ ઘરમાં પિતૃદોષ અને બીમારી હોવાની વાત કરી ‘વિધિ’ના બહાને મહિલાઓ પાસેથી સોનાના દાગીના અને રોકડ મંગાવતા હતા. બાદમાં વિધિ દરમિયાન દાગીના લઈને ફરાર થઈ જતા હતા. જે આરોપીઓ હાલ રાજકોટ હોવાની માહિતી મળતા જ લસકાણા પોલીસની ટીમ રાજકોટ રવાના થઈ હતી અને રાજકોટ ખાતે જઈ ત્યાંથી બે ઠગ તાંત્રિક કાળુનાથ લખુનાથ નકુમ અને દેવાયત કાનજી નાથબાવા રાઠોડને ઝડપી પાડ્યા હતાં. આરોપીઓ પાસેથી પોલીસે દાગીના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો તપાસમાં લસકાણા અને ઉત્રાણ પોલીસ સ્ટેશનના ત્રણ છેતરપિંડીના ગુનાઓનો ભેદ ઉકેલાયા છે. હાલ આરોપીઓની પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.
