સુરતના વરાછામાં વેપારી પર જીવલેણ હુમલો,
ત્રણ આરોપીની ધરપકડ સાથે પોલીસનું રીકન્સ્ટ્રક્શન!
પોલીસે આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં માફી મંગાવી
સુરતના વરાછામાં અસામાજિક તત્વોએ બરોડા પ્રિસ્ટેજમાં વેપારી ઉપર જીવલેણ હુમલો કરવાની ઘટના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં માફી મંગાવી હતી.
મળતી માહિતી પ્રમાણે, સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી જલારામ સોસાયટીમાં 34 વર્ષીય વેપારી પરિવાર સાથે રહે છે. વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ ખાતે કપડાની બજારમાં કાપડના વેપારી તરીકે દુકાન ચલાવે છે. બાઈક પર જતા ત્રણ અસામાજિક તત્વો સાથે ગત 15 એપ્રિલના રોજ વેપારીને સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી.આરોપી હાર્દીક, ઉદય અને સતીષએ સામાન્ય બોલાચાલીની અદાવત રાખી તમામે ભેગા મળી દીપેનને ગડદા પાટુનો માર મારી અને જમણી આંખે મુક્કો મારી ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન સતીષે દીપેનને છરીથી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. ત્રણેય ઈસમોએ દીપેનને બચાવવા આવેલી તેની માતા ઉપર મારી નાખવાના ઇરાદે પ્રહાર કરી જાનથી મારી નાખવા હુમલો કર્યો હતો. આ સાથે તેમની છેડતી પણ કરી હતી.ત્રણેય યુવક દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા. આ દરમિયાન વેપારી અને તેની માતા સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ મામલે વેપારી દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપી સામે હત્યાના પ્રયાસ અને છેડતીનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. વરાછા પોલીસ દ્વારા ઘટનાને ગંભીરતાથી લઈને ગુનો નોંધી આરોપીઓની શોધખોળ કરી હતી. ગણતરીના કલાકોમાં વરાછા પોલીસે હાર્દિક પ્રવિણભાઇ શાહ , ઉદય જેતુભાઇ કોટીલા અને સત્યજીત ઉર્ફે સતીષ ઉર્ફે સતિયો કાળુભાઇ ચાવડાને ઝડપી પાડ્યા હતા અને જાહેરમાં માફી મંગાવી હતી.