જૂનાગઢમાં રાતભર ચાલી ડિમોલિશનની કામગીરી.
અલગ અલગ જગ્યાએ 6 જેટલા ધાર્મિક દબાણ દૂર કરાયા.
મનપાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હટાવ્યા ધાર્મિક દબાણો.
જુનાગઢ મહાનગરપાલિકાએ પોલીસની મદદથી શહેરના મુખ્ય માર્ગો પરથી મોટા પાયે દબાણો દૂર કર્યા છે. મોડી રાત્રે શરૂ થયેલી આ કાર્યવાહીમાં ત્રણ દરગાહ, પાંચથી વધુ મંદિરો અને અસામાજિક તત્વોના બે મકાનો સહિતના દબાણો હટાવવામાં આવ્યા છે.
જુનાગઢમાં મધરાત્રે 3.15 કરોડની કિંમતના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યાં છે. ધાર્મિક સ્થળો સહિત ગુનેગારોના મકાન, દુકાન, ગેરેજ હટાવાયા છે. દબાણ હટાવ અભિયાન અંતર્ગત ગાંધી ચોક, દાતાર રોડ અને તળાવ દરવાજા નજીક પેટ્રોલ પંપ પાસેની દરગાહો દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ખાડિયા વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી PILના આધારે અને રાજ્ય સરકારની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે. દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપી દસ્તાવેજો રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો. પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતા આ પગલું લેવામાં આવ્યું છે.
જુનાગઢ શહેરમાં મધરાત્રે પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી મોટાપાયે ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરી હતી. રેન્જ આઇ.જી. નિલેશ જાજડીયા અને એસ.પી. ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહીમાં કુલ 685 ચો.મી.નું દબાણ (કિંમત રૂ. 3.15 કરોડ) દૂર કરવામાં આવ્યું હતું. ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીની ગેંગ વિરુદ્ધ 26 ગુના નોંધાયેલા છે. તેના ભાઈ જયેશ ઉર્ફે જવો ઉર્ફે સાવન સોલંકી વિરુદ્ધ 9 ગુના છે. તેનાથી સંકળાયેલા 450 ચો.મી. દબાણ (કિંમત રૂ. 1.80 કરોડ) મકાન, હોલ અને દુકાન હટાવવામાં આવ્યાં હતા. અન્ય આરોપીઓનાં દબાણો પણ દૂર 100 કલાકની યાદીમાં સમાવિષ્ટ હુસેન ઇસ્માઇલ જાગાના જયશ્રી રોડ પરનું 35 ચો.મી. દબાણ (કિંમત રૂ. 24 લાખ) સહિત અન્ય પાંચ જગ્યાએથી 95 ચો.મી. (કિંમત રૂ. 47 લાખ) ના દબાણો પણ હટાવાયા છે. કુલ મળીને 685 ચો.મી. દબાણ, અંદાજિત બજાર કિંમત રૂ. 3.15 કરોડના દૂર કરાઈ ચુક્યા છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી